મુંબઈ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મુંબઈના દાદરમાં એક કાર્યક્રમમાં ભાગ લેતા મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નવી ટોલ નીતિ (New Toll Policy) આગામી 15 દિવસમાં જાહેર કરવામાં આવશે. આ સાથે જ તેમણે મુંબઈ-ગોવા હાઈવે જૂન 2025 સુધીમાં પૂર્ણ થવાની પણ પુષ્ટિ કરી હતી. ગડકરીએ જણાવ્યું કે, નવી ટોલ નીતિ (New Toll Policy)ની જાહેરાત આગામી 15 દિવસમાં કરવામાં આવશે. જો કે, તેમણે આ અંગે વધુ વિગતો આપી ન હતી, પરંતુ ખાતરી આપી હતી કે આ નીતિ લોકોની તમામ ફરિયાદોનું નિરાકરણ લાવશે. તેમણે કહ્યું, “હું અત્યારે આ અંગે વધુ ચર્ચા નહીં કરું, પરંતુ ટૂંક સમયમાં એક વધુ સારી વ્યવસ્થા અમલમાં આવશે, ત્યારબાદ ટોલને લઈને કોઈને કોઈ મુશ્કેલી નહીં પડે.” IANS ના અહેવાલ મુજબ, આ ટોલ નીતિ (New Toll Policy) સેટેલાઇટ આધારિત હશે. હાલમાં FASTag દ્વારા ટેક્સ કાપવામાં આવે છે, પરંતુ હવે સેટેલાઇટ દ્વારા ટોલ પ્લાઝા કાપવામાં આવશે.
મંત્રીએ જણાવ્યું કે, લાંબા સમયથી ચાલી રહેલો મુંબઈ-ગોવા હાઈવે પ્રોજેક્ટ જૂન 2025 સુધીમાં પૂરો થઈ જશે. તેનાથી માત્ર રોજ મુસાફરી કરનારા લોકોને જ નહીં, પરંતુ કોંકણ વિસ્તારના લોકોને પણ મોટી રાહત મળશે, જેઓ વર્ષોથી ખરાબ રસ્તાઓને કારણે પરેશાન હતા. ગડકરીએ કહ્યું, “આગામી બે વર્ષમાં ભારતનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકા કરતાં પણ વધુ સારું હશે.” મુંબઈ-ગોવા હાઈવેના નિર્માણમાં અનેક અવરોધો આવ્યા હતા, જેમાં કાનૂની વિવાદો, જમીન સંપાદનમાં વિલંબ અને પારિવારિક ઝઘડાઓ સામેલ હતા. ગડકરીએ સ્વીકાર્યું કે આ મુદ્દાઓને કારણે પ્રોજેક્ટ ધીમો પડ્યો હતો, પરંતુ હવે તમામ સમસ્યાઓનું નિરાકરણ થઈ ગયું છે અને કામ પૂરા જોશમાં ચાલી રહ્યું છે. તેમણે કહ્યું, “જમીનના વળતરને લઈને વિવાદો હતા, કોર્ટ કેસ ચાલી રહ્યા હતા, પરંતુ હવે દરેક મુદ્દો ઉકેલાઈ ગયો છે અને અમે જૂન સુધીમાં આ હાઈવે પૂરો કરી લઈશું.