રાજકોટ
રાજકોટમાં એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના ઈન્દિરા સર્કલ નજીક સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે. ઇન્દીરા સર્કલ પાસે સીટી બસે 6 લોકોને અડફેટે લીધા હોવાના સમાચાર મળી રહ્યા છે, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 3 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા બસના કાચ ફોડવામાં આવ્યા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બુધવારે સવારના સમયે ઇન્દિરા સર્કલ નજીક કેકેવી સર્કલ પાસે સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે બસ હંકારી બસ ચાલકે 6 લોકોને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારો આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાને પગલે ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા છે અને લોકોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઈન્દિરા સર્કલ પાસે બનેલી ઘટનામાં GJ 03 BZ 0466 નામની બસે અકસ્માત સર્જ્યો છે. એટલું જ નહીં, ડ્રાઈવર નશામાં હોવાનો સ્થાનિકોનો દાવો કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ
રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો. સિટી બસ બેફામ રીતે ચલાવવામાં આવતી હોવાનો આરોપ લોકોએ કર્યો હતો.
મહત્વનું છે કે, ઈન્દિરા સર્કલ પાસેથી પસાર થતી તમામ સિટી બસને અટકાવીને ખાલી કરાવવામાં આવી. બેફામ રીતે દોડતી સિટી બસ સામે લોકોમાં રોષ. મૃતકોના અંતિમ સંસ્કાર ઈન્દિરા સર્કલ પર જ કરવાની પરિવારજનોની માંગ છે. પોલીસે પરિવારજનોને સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા. મૃતદેહ સ્વીકારવાનો પરિજનોનો ઈન્કાર કરી દેતા ટોળું ઉગ્ર થતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો.