ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં કેટલાક રાજ્યોમાં તાપમાનમાં અસામાન્ય વધારો જોતા કેન્દ્ર સરકારે હીટવેવ અને લૂ અંગે એલર્ટ જાહેર કર્યું છે તથા ગરમીને પહોંચી વળવા માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઈઝરી બહાર પાડી છે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે 28 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં પડી રહેલી ગરમીને પહોંચી વળવા માટે એલર્ટ જાહેર કરવું પડ્યું.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને કહ્યું છે કે 1 માર્ચ 2023થી ગરમીથી થતી બીમારીઓ, તેજ ગરમીનો ભોગ બની રહેલા દર્દીઓ અને હીટવેવથી થનારા મોતના આંકડા નોંધવાનું શરૂ કરી દેજો.
પત્રમાં કહેવાયું છે કે ભારતના અનેક ભાગોમાં અત્યારથી જ સામાન્ય રીતે તાપમાન વધી ગયું છે. આવામાં સરકારના નેશનલ ક્લાઈમેટ ચેન્જ પ્રોગ્રામને ધ્યાનમાં રાખીને ડેટા ભેગો કરવામાં આવે કે કયા રાજ્ય અને કયા જિલ્લામાં કેટલા લોકો ગરમીનો ભોગ બનીને બીમાર પડી રહ્યા છે કે પછી જીવ ગુમાવી શકે છે.