પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધમાં થયેલા પ્રદર્શન દરમિયાનની હિંસા અને તણાવની સ્થિતિ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની છે. આ મુદ્દે ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે તીવ્ર રોષ વ્યક્ત કર્યો છે. CM યોગીએ આમ મુદ્દે રાજ્યની સત્તાધારી પાર્ટી TMC સહિત સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે અને તેમની પર સવાલો ઉઠાવ્યા છે.
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને 24 પરગણા જિલ્લાના ભાંગરામાં વક્ફ કાયદાના વિરોધમાં થયેલા પ્રદર્શન દરમિયાન ભારે હિંસા થઇ હતી. તણાવ વચ્ચે સ્થાનિક પ્રશાસન દાવો કરી રહ્યું છે કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે. આ દરમિયાન UP ના CM યોગી આદિત્યનાથે મુર્શિદાબાદને લઈને મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું કે “લાતોના ભૂત વાતોથી નહીં માને.” મુર્શિદાબાદની હિંસા અને તણાવ અંગે CM યોગીએ કહ્યું કે, “હુલ્લડખોરો દંડાથી જ માનશે. જેને બાંગ્લાદેશ ગમે છે તે બાંગ્લાદેશ જાય. બંગાળ હિંસા પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી મૌન છે.” હિંસા પર રોષ વ્યક્ત કરવા ઉપરાંત, CM યોગીએ પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીને કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ઘેર્યા છે. CM યોગીએ કહ્યું કે, “બંગાળ સળગી રહ્યું છે, પરંતુ ત્યાંના CM ચૂપ છે. હુલ્લડખોરોને શાંતિદૂત કહે છે.” CM યોગીએ કહ્યું કે, “સેક્યુલરિઝમના નામે હુલ્લડખોરોને છૂટ આપવામાં આવી છે.” તેમણે કહ્યું કે, “બંગાળમાં છેલ્લા એક અઠવાડિયાથી હિંસા થઈ રહી છે. સરકાર મૌન છે. આ પ્રકારની અરાજકતા પર લગામ લાગવી જોઈએ.” આ ઉપરાંત CM યોગીએ કહ્યું કે, “હું ત્યાંની કોર્ટનો આભાર માનીશ કે ત્યાં લઘુમતી હિંદુઓની સુરક્ષાની વ્યવસ્થા માટે કેન્દ્રીય દળોને તૈનાત કરવા માટે પગલાં ભર્યા છે. આજે ત્યાં કેન્દ્રીય દળો તૈનાત છે. તમે ત્યાંની પીડા સાંભળી હશે. બધા લોકો મૌન છે.” CM યોગીએ કહ્યું છે કે, “કોંગ્રેસ, સપા, TMC મૌન છે. તેઓ ધમકી પર ધમકી આપી રહ્યા છે. બાંગ્લાદેશમાં જે થયું હતું. તેઓ તેનું સમર્થન કરી રહ્યા છે. જો બાંગ્લાદેશ સારું લાગતું હોય તો ત્યાં જ જતા રહો, ભારતની ધરતી પર બોજ બનીને શું કામ બેઠા છો.