રાજસ્થાન અકસ્માત: લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, બસ-રિક્ષા વચ્ચે ટક્કર થતા 8 બાળકો સહિત 12નાં થયા મોત

by JAYENDRA UPADHYAY
0 comments

રાજસ્થાનના ધોલપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં રિક્ષા અને બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં 12 લોકોનાં કમકમાટી ભર્યા મોત થયા છે. મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ સામેલ છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ આ અકસ્માત બારી સદર પોલીસ સ્ટેશન વિસ્તારના સુનીપુર પાસે થયો હતો. મૃતકોમાં બાળકોની સંખ્યા 5થી વધુ હોવાનું કહેવાય છે. અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. બારી પોલીસ સ્ટેશને ઘટનાસ્થળે પહોંચીને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. અકસ્માતનો ભોગ બનેલી રિક્ષા ધોલપુરની, પરંતુ જે બસ સાથે તેની ટક્કર થઈ તે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદની છે.બસ અને ઓટો રિક્ષા વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનું પડીકું વળી ગયું હતું. તેના ઉપરનો ભાગ આખેઆખો અલગ થઈ ગયો અને ઓટોનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. સાથે જ બસનો આગળનો કાચ પણ તૂટી ગયો હતો. નેશનલ હાઈવે 11-બી પર આ અકસ્માતમાં બસ ડ્રાઈવરને પણ ઈજા પહોંચી છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બસ ખૂબ જ સ્પીડમાં હતી. જેના કારણે અકસ્માતમાં જાનમાલનું નુકસાન થયું છે.

You may also like

Leave a Comment