શિક્ષણમંત્રીશ્રી ડો.કુબેરભાઇ ડીંડોરના અધ્યક્ષસ્થાને ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાના આયોજન મુદ્દે વીડીયો કોન્ફરન્સ યોજાઇ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ ગાંધીનગર દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની ૧૪ માર્ચથી ૨૯ માર્ચ સુધી પરીક્ષા યોજાનાર છે ત્યારે જિલ્લાકક્ષાએ પરીક્ષાની તૈયારીની સમીક્ષા હેતુ શિક્ષણમંત્રીશ્રી ડો.કુબેરભાઇ ડીંડોરે વીડીયો કોન્ફરન્સ યોજીને તમામ જિલ્લા કલેકટરશ્રીઓ પાસેથી તૈયારીની માહિતી મેળવીને માર્ગદર્શન આપ્યું હતું.
આજરોજ યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં શિક્ષણમંત્રીશ્રીએ પરીક્ષાના કેન્દ્રો પર કોઇ ગેરરીતી ન થાય તે માટે પૂરતી ચકાસણી સાથે પોલીસ બંદોબસ્ત મુકવા , સી.સી ટીવી કેમેરા મુકવા ,એસ.ટી બસના રૂટ, વીજ પુરવઠો, આરોગ્ય ટીમની વ્યવસ્થા સહિત વિવિધ મુદે માર્ગદશર્ન આપીને તેનું પાલન કરવા સુચના આપી હતી.

બેઠકમાં કલેકટરશ્રી દિલીપ રાણાએ જિલ્લા શિક્ષણ તંત્ર, પોલીસ વિભાગ, પીજીવીસીએલ તથા એસ.ટી વિભાગ સહિતના સંબંધિત વિભાગ સાથે પરીક્ષા સંદર્ભે તૈયારીની ચર્ચા કરીને પરીક્ષા વ્યવસ્થાન યોગ્ય રીતે થાય તે માટે સુચના આપી હતી. જેમાં કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ કરાવવા, સ્ટ્રોંગરૂમની સુરક્ષા, તમામ ખંડમાં સીસી ટીવી કેમરા મુકવા, કેન્દ્રો પર આરોગ્યને અનુલક્ષીને જરૂરી દવા અને પૂરવઠો રાખવા, કાયદાનું પાલન કરાવવા તેમજ બાળકો તણાવમુકત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેના તમામ પગલા ભરવા સુચના આપી હતી.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમારે જણાવ્યું હતું કે, કચ્છમાં ધો.૧૦ની ત્રણ ઝોનમાં પરીક્ષા લેવામાં આવશે. જેમાં ભુજ, ગાંધીધામ અને નખત્રાણાનો સમાવેશ થાય છે. ૩૭ કેન્દ્ર છે જેમાં ૨૮,૨૨૨ છાત્રો પરીક્ષા આપશે. જયારે ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ભુજ અને ગાંધીધામ ઝોનમાં પરીક્ષા લેવામાં આવશે. જેમા ધો.૧૨ સામાન્ય પ્રવાહની ૧૩ કેન્દ્ર માં ૧૬,૫૮૪ તથા ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૪ કેન્દ્ર પર ૧૫૭૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે . આમ ધો.૧૨માં કુલ ૧૮,૧૫૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ, ધો.૧૦ અને ધો.૧૨ના કુલ મળીને કચ્છમાં ૪૬૩૭૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભચાઉ કેન્દ્રમાં ૬ પરીક્ષા બિલ્ડીંગ , સામખિયાળીમાં ૪ શાળા બિલ્ડીંગ જયારે આડેસરમાં ૨ શાળા બિલ્ડીંગને સંવેદનશીલ જાહેર કરાયા છે. જયારે અતિ સંવેદનશીલ કેન્દ્રમાં રાપર કેન્દ્રના ૫ શાળા બિલ્ડીંગ, ફતેહગઢમાં એક અને બાલાસરમાં એક પરીક્ષા બિલ્ડીંગનો સમાવેશ થાય છે.
આજની બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી મિતેશ પંડ્યા ,જિલ્લા શિક્ષણ વિભાગ, પીજીવીસીએલ, એસ.ટી વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.

પરીક્ષાનાને લઇને કોઇપણ મુંઝવણ હોય તો વિદ્યાર્થીઓ માટે બોર્ડનો હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦, જીવન આસ્થા હેલ્પલાઇન નં. ૧૮૦૦-૨૩૩-૩૩૩૦, સ્ટેટ કંટ્રોલ રૂમ -૯૯૦૯૦૩૮૭૬૮, ૦૭૯-૨૩૨૨૦૫૩૮ તથા કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજના કંટ્રોલરૂમ નંબર ૦૨૮૩૨-૨૫૦૧૫૬ પર સંપર્ક કરી શકાશે

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજ ફાયર સ્ટેશન આધુનિક વોટર રેસ્ક્યૂના સાધનથી વધુ સક્ષમ બન્યું, રેસ્ક્યુ ક્રાફ્ટ રિમોટથી ઓપરેટ થશે

ભુજ ફાયર સ્ટેશન આધુનિક વોટર રેસ્ક્યૂના સાધનથી વધુ સક્ષમ બન્યું, રેસ્ક્યુ ક્રાફ્ટ રિમોટથી ઓપરેટ થશેફાયર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »