રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ૨૦૨૩માં નાણાં નીતિને ફરી હળવી કરે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ના ત્રણ બહારી સભ્યો દ્વારા આ સંદર્ભમાં સંકેત આપવામાં આવ્યા છે.
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાઈ ગયેલી એમપીસીની સમીક્ષા બેઠકની મિનટસ બાદ એમપીસીના કેટલાક સભ્યો દ્વારા પત્રકારો સાથેની વાતચીતમાં આ સંકેત અપાયા હતા.
વૈશ્વિક અર્થતંત્રમાં કોઈપણ ઘટાડો ટૂંકજીવી નિવડશે, કારણ કે વિશ્વની કેન્દ્રીય બેન્કોએ ફુગાવાને નીચે લાવવા જે રીતે વ્યાજ દર વધારવામાં ઝડપ કરી હતી તેવી જ ઉતાવળ મંદીના કાળમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં કરાશે, એમ પોતે માનતા હોવાનું જયંત વર્માએ જણાવ્યું હતું.
ફુગાવો અનેક દાયકાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ૨૦૨૨માં વિશ્વની મોટાભાગની કેન્દ્રીય બેન્કોએ વ્યાજ દરમાં જોરદાર વધારો કર્યો છે. ૨૦૨૨ના માર્ચમાં અમેરિકામાં વ્યાજ દર જે ૦થી ૦.૨૫ ટકાની રેન્જમાં હતો તે હાલમાં વધી ૪.૨૫થી ૪.૫૦ ટકાની રેન્જમાં પહોંચી ગયો છે.
ભારતમાં પણ રિઝર્વ બેન્કે વર્તમાન વર્ષમાં રેપો રેટ ૨.૨૫ ટકા વધારી ૬.૨૫ ટકા કર્યો છે.
વૈશ્વિક મંદી કેટલો સમય સુધી રહે છે અને તે કેટલી ઘેરી રહેશે તથા ભારતીય અર્થતંત્ર પર તેની શું અસર જોવા મળશે તે જોવાનું એમપીસી માટે મહત્વનું બની રહેશે એમ અન્ય એક સભ્યએ જણાવ્યું હતું.નીચા વિકાસ અને ઊંચો ફુગાવો અર્થતંત્ર માટે નબળી સ્થિતિ બની શકે છે. સ્થિર બૃહદ્ આર્થિક વાતાવરણ ઊભું કરવા નીતિવિષયક પ્રતિસાદો આવશ્યક બની રહે છે.
આયાતમાં ઘટાડો ભારતમાં માગ ઘટી રહી હોવાના સંકેત આપે છે, એમ એમપીસીના બહારી સભ્ય અશિમા ગોયલે જણાવ્યું હતું. નાણાં નીતિની રૂપરેખા ડેટા આધારિત રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.