સરકારો વાયદા કરે છે કે ભ્રષ્ટાચારને દેશમાંથી કાઢી નાંખીશું પણ આજે પણ સરકારી તંત્રમાં પૈસા આપ્યા વિના કામ કઢાવવું એટલે પહાડ ચઢવો. એમાંય ખાસ કરીને મિડલ ક્લાસ અને ગરીબ જે પૈસા ખર્ચી ન શકે તેમણે તો હેરાન પરેશાન જ થવાનું.
ભ્રષ્ટાચારીઓની હવે ખેર નથી
સુપ્રીમ કોર્ટે જ એવો એક ચુકાદો આપ્યો છે જેનાથી આવા તમામ ભ્રષ્ટાચારી કર્મચારીઓ હવે મપાઈ જશે. હવે ભ્રષ્ટાચાર નિરોધક કાયદા હેઠળ સરકાઋ અધિકારી સામે કાર્યવાહી કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણની કોઈ જરૂર નથી.
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે જો પરિસ્થિતિને લગતા પૂરાવાઓના આધારે સાબિત થઈ જાય છે કે આરોપી અધિકારીઓએ રૂશ્વત લીધી છે તો તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ કાર્યવાહી કરી શકાય છે.
બીજું શું કહ્યું કોર્ટે?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અદાલતોએ આવા પ્રકારના અધિકારીઓ સામે જરાય ઉદાર થવાની જરૂર નથી. કોર્ટે કહ્યું કે ભ્રષ્ટાચારના મામલમાં કોઈ પ્રત્યક્ષ મૌખિક કે દસ્તાવેજી સાબિતી ન હોય તો પણ પરિસ્થિતિજન્ય પૂરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.
આટલું જ નહીં કોર્ટે તો એમ પણ કહ્યું કે જો કોઈ ફરિયાદ કરનાર વ્યક્તિ મરી જાય છે અથવા તો પોતે સાક્ષી બનવાથી ના પાડી દે છે તો પણ અન્ય પૂરાવા કે સાક્ષીના આધારે કાર્યવાહી કરી શકાય છે.