નવી દિલ્હી
આજે શુક્રવારે વહેલી સવારે રાજ્યસભામાં એક વૈધાનિક ઠરાવ પસાર થયો, જેમાં સંઘર્ષગ્રસ્ત મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પુષ્ટિ કરવામાં આવી છે. વિવિધ રાજકીય પક્ષોના સભ્યોએ આ નિર્ણયને ટેકો આપ્યો હતો. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં અને હિંસાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ વિપક્ષી સભ્યોએ કેન્દ્રની ટીકા કરી હતી.
જે અંગે સરકારે કહ્યું કે તે રાજ્યમાં સામાન્યતા પુનઃસ્થાપિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેની નીતિ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની નથી. પ્રસ્તાવ પરની ચર્ચાના અંતે બોલતા ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રાજધાનીમાં મણિપુરના બંને સમુદાયો વચ્ચે ટૂંક સમયમાં બેઠક થવાની શક્યતા વ્યક્ત કરી. અમિત શાહે જણાવ્યું કે, સત્ર દરમિયાન મણિપુરના સમુદાયો વચ્ચે બે બેઠકો થઈ ચૂકી છે. અમે મણિપુરમાં શાંતિ પાછી લાવવા માટે અમારા પ્રયાસો કરી રહ્યા છીએ. 13 બેઠકો યોજાઈ છે. બેઠક ચાલી રહી હોવાથી અમે આ મુદ્દો મોડો ઉઠાવ્યો. આગામી બેઠક યોજાવાની છે અને આ મુદ્દો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ અને અન્ય પક્ષો પર ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, વાતચીતનો માર્ગ ખુલ્લો છે. અમે તેનો ઉપયોગ રાજકીય લાભ માટે કરતા નથી.ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો કે મણિપુરના મુખ્યમંત્રીએ 11
ફેબ્રુઆરીએ રાજીનામું આપી દીધું હતું અને આ સમાચાર આવતાની સાથે જ કોંગ્રેસ પાસે જરૂરી સંખ્યાબંધ સભ્યો ન હોવા છતાં તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા.
અમિત શાહે કહ્યું કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહના રાજીનામા પછી, પાંચ ધારાસભ્યો સાથે કોંગ્રેસ સહિત અન્ય કોઈ પક્ષે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો નહીં અને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. અમિત શાહે કહ્યું કે હિંસાને કારણે અત્યાર સુધીમાં 260 લોકોના મોત થયા છે, પરંતુ 70 ટકા લોકો પહેલા 15 દિવસમાં માર્યા ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 11 વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. અમારી સરકારે તે ફક્ત એક જ વાર લાદ્યું છે. અમિત શાહે હિંસાનું “રાજકારણ” કરવા બદલ વિપક્ષ પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન રાજ્યમાં આવી જ ઘટના બની હતી. સાત વર્ષ પહેલા મણિપુરમાં 225 દિવસનો કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. કોંગ્રેસના શાસન દરમિયાન પણ કોઈ વડાપ્રધાને મણિપુરની મુલાકાત લીધી ન હતી.