કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના નેતાઓ સાથે બેઠક કરી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરી હતી. કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત 8 રાજ્યોમાં 2023માં ચૂંટણી યોજવાની છે. મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટક કોંગ્રેસના નેતાઓને એક થઈ ચૂંટણી લડવા સૂચના આપી છે.
ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્રિપુરામાં હાલ ભાજપનું શાસન છે. ચૂંટણીની રણનીતિને ધ્યાનમાં રાખીને ભાજપે અહી મુખ્યમંત્રી બદલી નાખ્યા છે. આ સાથે જ તૃણમૂલ કોંગ્રેસના ઘણા નેતા સામે થવાને કારણે પાર્ટીની સ્થિતિ નબળી બની છે. આ તરફ મેઘાલય અને નાગાલેન્ડમાં ભાજપ સમર્થિત સરકાર છે. જ્યારે મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટની સરકાર છે. મેઘાલયમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થયા બાદ ટીએમસી વિધાનસભામાં વિપક્ષી પાર્ટી બની ગઈ છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી માટે પાયાના સ્તરે સંગઠન તૈયાર કરવું પડશે.
જે રાજ્યોમાં 2023માં ચૂંટણી થવાની છે તેમની રાજ્યવાર બેઠકો યોજીને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. પાર્ટીને મધ્યપ્રદેશ જીતવાની સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા જાળવી રાખવાનો પડકાર છે. આ ત્રણ રાજ્યોમાં પક્ષ જુથવાદ સામે ઝઝૂમી રહ્યો છે. આવતા વર્ષે તેલંગણામાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
ભાજપના નેતૃત્વએ તાજેતરમાં ત્રિપુરાના નેતાઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હતા. સૂત્રો મુજબ આ બેઠકમાં પાર્ટીએ પ્રદેશ નેતાઓને સ્પષ્ટ કહી દીધું છે કે, તેમણે જુથવાદનો અંત આણવો જોઈએ અને એક થઈને ચૂંટણી લડવી જોઈએ. મહત્વનું છે કે, હિમાચલમાં તાજેતરમાં મળેલા પછડાટમાં ભાજપ પોતાના જુથવાદનો હિસ્સો રહ્યો છે.