નેપાળના ઘણા ભાગોમાં ગુરુવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને આ સતત ભારે વરસાદને કારણે આવેલ પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 112 લોકોના મોત થયા છે તો 60 લોકો ઘાયલ થયા છે.સાથે જ પૂર અને ભૂસ્ખલનથી મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે અને હવાઈ મુસાફરી પણ ખોરવાઈ ગઈ છે.નેપાળના જુદા જુદા જિલ્લાઓમાં લોકોના મોત થઈ રહ્યા છે જ્યારે કાઠમંડુમાં પાણી ભરાવા અને ભૂસ્ખલનને કારણે 34 લોકોના મોત થયા છે.આ સિવાય કોસી પ્રાંતમાં છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મોત થયા છે. પોલીસે કહ્યું છે કે દેશભરમાં ડઝનબંધ લોકો લાપતા છે, જેમને હેલિકોપ્ટર અને મોટરબોટ વડે બચાવવાનું કામ ચાલી રહ્યું છે.પોલીસ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, દેશના બાકીના ભાગોને રાજધાની કાઠમંડુ સાથે જોડનારા સહિત લગભગ તમામ હાઇવે વરસાદને કારણે ખોરવાઈ ગયા છે.નેપાળ સરકારે જાહેરાત કરી છે કે બચાવ કામગીરી માટે 20,000 થી વધુ પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ભૂસ્ખલનને કારણે ઘણા લોકો ઘાયલ થયા છે અને ઘણા લાપતા છે. એવા પણ અહેવાલો છે કે નેપાળમાં વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં 60 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 36 ઘાયલ થયા છે.
