રાજકોટમાં પોતાના સાથીદાર સાથે મયુરસિંહ રાણા પર હુમલો કર્યા બાદ દેવાયત ખવડ છેલ્લા કેટલાંય દિવસોથી ફરાર છે.રાજકોટમાં 7 ડિસેમ્બરના રોજ ‘રાણો રાણાની રીતે’ ફેમ લોકકલાકાર દેવાયત ખવડ સહિત બે શખ્સે બિલ્ડર પર પાઇપથી હિચકારો હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસ ફરિયાદમાં દેવાયત ખવડ છેલ્લા 10 દિવસથી પોલીસ પકડથી દૂર છે. ત્યારે હુમલાનો ભોગ બનેલા બિલ્ડર મયૂરસિંહ રાણાએ હવે ન્યાય માટે સીધી જ PMOમાં લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં પોલીસ કાર્યવાહી ન થતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. PMOમાં કરેલી ફરિયાદમાં 2021માં ઘટેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ PMO સુધી મયુરસિંહ રાણાએ આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માગ કરી છે.
વધુમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી. દેવાયત ખવડે કરેલી આગોતરા જામીનની અરજીની સુનાવણી ગઇકાલે ટળી ગઇ હતી. ત્યારે હવે રાજકોટ કોર્ટમાં આગામી 17 ડિસેમ્બરે દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.