‘હું બે દિવસ પછી CM પદ પરથી રાજીનામું આપીશ’, મંચ પરથી કેજરીવાલનું મોટું એલાન

by JAYENDRA UPADHYAY
0 comments

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી ‘કૌભાંડ’ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના બે દિવસ બાદ આજે (15 સપ્ટેમ્બર) આમ આદમી પાર્ટીના મુખ્યાલય પહોંચ્યા હતા. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને મળ્યા બાદ સીએમ કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન સીએમ કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું કે ‘હું બે દિવસ પછી સીએમ પદ પરથી રાજીનામું આપીશ.’સીએમ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને જનતાને સંબોધતા કહ્યું, ‘હું જ્યાં સુધી જનતાની અદાલતમાં જીતીશ નહીં ત્યાં સુધી હું સીએમ નહીં બનીશ. હું ઈચ્છું છું કે દિલ્હીની ચૂંટણી નવેમ્બરમાં થાય. જનતા મને મત આપીને જીતાડે, તે બાદ જ હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ.’ AAP કાર્યકર્તાઓને સંબોધતા સીએમ અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું,કે ‘જનતાના આશીર્વાદથી, અમારી પાસે ભાજપના તમામ ષડયંત્રનો સામનો કરવાની તાકાત છે. અમે ભાજપ સામે ન તો ઝૂકીશું, ન રોકાઈશું કે ન વેચાઈશું. આજે દિલ્હી માટે કરી શક્યા છીએ કારણ કે આજે તેઓ (ભાજપ) અમારી ઈમાનદારીથી ડરે છે કારણ કે તેઓ ઈમાનદાર નથી.’આ ઉપરાંત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, ‘હું પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાની આ રમતનો ભાગ બનવા નથી આવ્યો. બે દિવસ પછી હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ. મને કોર્ટમાંથી ન્યાય મળ્યો. હવે જનતાની અદાલત મને ન્યાય અપાવશે.’

You may also like

Leave a Comment