Breaking News

બિપરજોય વાવાઝોડુ અને તંત્રની તૈયારીઓ અંગે વિસ્તૃત અહેવાલ

બિપરજોય વાવાઝોડાની આફતને પહોંચી વળવા કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
૦૦૦૦
કચ્છના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૪૯ હજારથી વધારે નાગરિકોનું કરાયું સ્થળાંતર
૦૦૦૦
ભુજ, ગુરૂવાર:

અરબસાગરમાં બિપરજોય વાવાઝોડું સક્રિય બન્યું છે. જે કચ્છના જખૌ બંદરના આજુબાજુના વિસ્તારમાં લેન્ડફોલ થવાની શક્યતા છે. બિપરજોય વાવાઝોડાની સામે આગમચેતી પગલાના ભાગરૂપે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જેમાં કચ્છના કુલ ૧૦ તાલુકા પૈકી ૭ તાલુકાના ૧૨૦ ગામો છે જેમાં વાવાઝોડાની અસર થઈ શકે છે. જેમાં અબડાસાના ૧૯, ભચાઉ ૧૭, અંજાર ૮, ગાંધીધામ ૭, માંડવી ૧૯, મુન્દ્રા ૧૫, લખપતના ૩૫ ગામોનો સમાવેશ થાય છે.
કચ્છના દરિયાકાંઠાથી ૦ થી ૫ કિમી વિસ્તારના ૭૨ ગામો તથા ૫ થી ૧૦ કિમી વિસ્તારના ૪૮ ગામો મળીને કુલ ૧૨૦ ગામોમાં ૪૯,૧૩૩ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મીઠા અગરોમાં કામ કરતા ૪૫૦૯ અગરીયાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ૫૫૨ સગર્ભા મહિલાઓને પી.એચ.સી/સી.એચ.સી.ખાતે મેડીકલ ટીમ મારફતે સ્થળાંતર કરાવીને તેમના આરોગ્યની સંભાળ લેવામાં આવી રહી છે.
કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આશ્રયસ્થાનોમાં લાઈટ, પાણી, ફૂડ પેકેટ, જનરેટર તેમજ ૧૧૩૦ ઈન્વર્ટર બલ્બ અને ૪૦૦ હેન્ડ ટોર્ચ તથા ૫૦ જનરેટર સેટની વ્યવસ્થા કરવામાં આવી છે. અબડાસા તેમજ લખપતના સૌથી જોખમ ધરાવતા વિસ્તારના ૧૭,૮૮૭ પશુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
પીજીવીસીએલ દ્વારા ૩૨,૦૦૦ વીજપોલ રિઝર્વ રાખવામાં આવ્યા છે જેનો ઉપયોગ તાત્કાલિક પાવર રિસ્ટોરેશન માટે કરી શકાશે. ૦૬ જનરેટર, ઉપરાંત ૪૩ વાહનો તૈયાર રાખવામાં આવ્યા છે. ૧૨૫ રીસ્ટોરેશન ટીમ બનાવવામાં આવી છે. ૧૨,૬૦૦ થાંભલાઓ તાલુકાઓમાં પહોંચાડી લોકોને વીજળી પુરવઠા બાબતે હાલાકી ન થાય તેનું સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે. ભુજ, નખત્રાણા અને માંડવીના સ્ટોર ખાતે માલ-સામાનનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્રને ૪ સેટેલાઈટ ફોન ફાળવવામાં આવ્યા છે તેમજ મોબાઈલ ટાવરના જનરેટર માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે – ભુજ, નલીયા અને નખત્રાણા ખાતે ૩ હેમ રેડીયો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત નાગરિકો નેટવર્ક લોસ્ટ સમયે અન્ય કંપનીના નેટવર્ક સાથે ક્નેક્ટ થઈ શકે તે માટે ખાસ સુવિધા કચ્છમાં લાગુ કરાઈ છે.
ધાર્મિક સ્થળો પૈકી માતાના મઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા છે. કોટેશ્વર મંદિર તેમજ તેના આસપાસના બજારો બંધ રાખવામાં સૂચના આપવામાં આવી છે.
સેવાભાવી સંસ્થાઓ, એનજીઓ અને તંત્ર દ્વારા ૧.૨૫ લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. તે પૈકી ૮૬ હજાર ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. દૂધ સાગર ડેરી મારફતે લાંબા સમય સુધી ન બગડે તેવા ૫ હજાર લીટર દુધ તથા ૨ હજાર કિલો દૂધ પાવડરની વિવિધ શેલ્ટર હોમ ખાતે રાખીને કોઈ બાળક કે નાગરિકો ભૂખ્યા ન રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા ૬૯ પી.એચ.સી., ૩ એસ.ડી.એચ , ૧૬ સી.એચ.સી.ને તમામ મેડિકલ સુવિધા સાથે સજ્જ કરાયા છે. અન્ય જિલ્લામાંથી ૨૦ મેડીકલ ઑફિસરને ઇમરજન્સી ડ્યૂટી ફાળવવામાં આવી છે જેઓ કચ્છ જિલ્લામાં ફરજ બજાવશે. આરોગ્ય વિભાગ દ્વારા ૯૦ ડૉક્ટર, ૧૮૭૪ બેડ, ૧૭૫ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને સાવચેતીના પગલાંના ભાગરૂપે નગરપાલિકા, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગના સહયોગથી નડતરરૂપ ૨૭૫થી વધુ વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવ્યું છે. આ ટ્રિમિંગ માટે હેલ્પલાઈન શરૂ કરીને ટીમોને ખડેપગે રાખવામાં આવી છે.

પાણી પુરવઠા વિભાગ દ્વારા ૮૭ પીવાના પાણીના ટેન્કર અને ૯ ડીવોટરીંગ પંપની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૫૬ ટેન્કર આશ્રયસ્થાન ઉપર અને તેમજ ૩૫ ટેન્કર અસરગ્રસ્ત ગામો ખાતે પહોંચાડવામાં આવ્યા છે અને ૪૭ જનરેટર સેટ હેડ-વર્ક્સ ખાતે રાખવામાં આવ્યા છે. જેથી આકસ્મિક પરિસ્થિતિમાં વીજ પુરવઠો ખોરવાય તો પણ જળ વિતરણ વ્યવસ્થા બની રહે.
વાવાઝોડાને ધ્યાનમાં રાખીને જિલ્લાના લોકોને રાહત બચાવની કામગીરી માટે NDRFની ૬ ટીમ (ગાંધીધામ, માંડવી, લખપત, અબડાસા, નખત્રાણા, ભુજ) ખાતે રાખવામાં આવી છે. તેમજ SDRFની ૨ ટીમ (નારાયણ સરોવર, નલીયા) અને RPFની ૪ ટીમ (ગાંધીધામ, મુંદ્રા, નલીયા) ખાતે ફાળવવામાં આવી છે. ઉપરાંત, ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ, બોર્ડર સિક્યોરીટી ફોર્સ તથા એર ફોર્સની ટીમો અને ફાયરની ૪ ટીમો (લખપત, અબડાસા, માંડવી, ભુજ) ખાતે આકસ્મિક પરિસ્થિતિમાં મદદ માટે તૈયાર રહેશે.
કચ્છ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાહત અને બચાવ માટે વિવિધ વાહનો પૈકી ૮૭ ડમ્પર, ૩૦૦ ટ્રેક્ટર તથા ૨૯ જે.સી.બી., ૬૧ ટ્રક, ૭ લોડર વિવિધ કચેરી વિભાગો દ્વારા સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. માર્ગો પરથી વૃક્ષો હટાવવા તથા રોડ ક્લિયરન્સ માટે ૫૦ ટીમ બનાવવામાં આવી છે. ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા ૪૬ એસ.ટી. બસ સ્થળાંતર માટે ફાળવવામાં આવી છે. ૪ તાલુકા (લખપત, અબડાસા, માંડવી, નખત્રાણા)માં બસોનો વાહન વ્યવહાર તા.૧૬ જુન બપોરે ૧૨ સુધી બંધ કરેલ છે.

About chanchal bhuj bhuj

Check Also

ગરમીની ઋતુમાં ફળોના ભાવમાં થયો વધારો

ગરમીની સીઝનમાં શાકભાજી અને ફળોની આવક વધુ થતી હોય છે. હમણાં કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમીની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »