ભુજ-અમદાવાદ વચ્ચેની સાબરમતી ટ્રેન બંધ

by JAYENDRA UPADHYAY
0 comments

ભુજ તા.20
ભુજ અમદાવાદ વચ્ચે દરરોજ સવારે ચાલતી સાબરમતી ટ્રેન અચાનક બંધ કરી દેવાતા કચ્છીજનોમાં આશ્ચર્ય ફેલાયું છે.ખાસ કરીને વિધાર્થીઓ અને વેપારીઓમાં ખુબ જ લોકપ્રીય રહેલી આ ટ્રેનને ખુબ જ સારો ટ્રાફીક મળતો હોવા છતા આ ટ્રેન બંધ કરી દેવાઇ છે.
ગાંધીધામ ચેમ્બરે કરી રજુઆત
કચ્છના મુખ્ય મથક ભુજથી રાજયના મુખ્ય શહેર અમદાવાદને જોડતી ભુજ-સાબરમતી ટ્રેન સેવાને અચાનક બંધ કરી દેવાતાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ધ્વારા આઘાતની લાગણી વ્યક્ત કરાઈ હતી.ગાંધીધામ ચેમ્બર પ્રમુખશ્રી મહેશ પુજે જણાવ્યું હતું કે, ચેમ્બરની રજુઆતના આધારે કચ્છને અમદાવાદથી રેલ્વે માર્ગે સાંકળતી ટ્રેન સેવા નિયમિત રીતે ચાલી રહી હતી. ત્યારબાદ સમયગાળામાં ફેરફાર કરવા અંગે પણ ચેમ્બર ભવન ખાતે પશ્ચિમ રેલ્વેના અધિકારીશ્રીઓને આવેદન પાઠવી રજુઆત કરેલ. પરંતુ આવી રજુઆતોને ટ્રાફિક પેસેન્જર્સના બહાને કે અન્ય કારણોસર અચાનક રદ કરી દેવાની જાણ થતાં આઘાતની લાગણી સાથે પુનઃ ચાલુ રાખવા માંગ ઉચ્ચારાઇ છે.
ભુજ ડેવેલોપમેન્ટ કાઉન્સીલ કરશે આક્રમક રજુઆત
ભુજ ડેવેલોપમેન્ટ કાઉન્સીલના પ્રમુખ અવનીશભાઇ ઠક્કર અને મંત્રી સંજયભાઇ ઉપાધ્યાય અને દીલીપભાઇ ઠક્કરે પણ રેલ્વે તંત્રના આ તુમાખી ભર્યા નિર્ણયની ટીક્કા કરી છે.ખાસ કરીને કચ્છનો વેપાર-ઉદ્યોગ તેમજ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ અમદાવાદ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે અને દરરોજના હજારો પ્રવાસીઓ રાજય સરકારની એસ.ટી. બસોમાં, મુંબઈ કે અમદાવાદની ટ્રેનોમાં, ખાનગી ટ્રાવેલ્સ કે ખાનગી વાહનોથી અવરજવર કરતા થયા છે. વધુમાં કચ્છમાં એર કનેક્ટીવીટીની સુવિધા પણ નહિંવત હોતાં પ્રવાસીઓ માટે સાબરમતી એક્સપ્રેસ રાહતરુપ હતી.અને દરરોજ ટ્રેનને પુરતો ટ્રાફીક મળતો હોવા છતા તે બંધ કરી દેવાતા કચ્છને વધુ એક અન્યાય થયો હોવાની વાત ઉચ્ચારાઇ હતી.સંસ્થા દ્વારા આ અંગે ઉચ્ચકક્ષાએ અને પ્રજાકીય પ્રતિનીધીઓ સમક્ષ રજુઆત કરવામાં આવશે તેમ જણાવાયુ હતું.

You may also like

Leave a Comment