ગુજરાતના ખાવડા પ્રોજેક્ટ મુદ્દે સરકારના જવાબથી વિપક્ષ અસંતુષ્ટ, લોકસભામાંથી વોકઆઉટ

by JAYENDRA UPADHYAY
0 comments

ગુજરાતના ખાવડામાં સ્થાપિત થઈ રહેલા અક્ષય ઉર્જા પ્લાન્ટના મુદ્દે સરકારના પ્રતિભાવથી અસંતુષ્ટ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સભ્યોએ બુધવારે લોકસભામાંથી વોકઆઉટ કર્યો. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પ્રશ્નકાળ દરમિયાન સરકારને પૂછ્યું કે, શું ગુજરાતના ખાવડામાં સ્થાપિત થઈ રહેલા પ્લાન્ટ માટે રાષ્ટ્રીય સુરક્ષા પ્રોટોકોલમાં કોઈ છૂટછાટ આપવામાં આવી છે?તિવારીએ પૂરક પ્રશ્નમાં સરકારને પૂછ્યું કે, ‘ખાવડામાં (ગુજરાત) એક ખૂબ જ મોટો અક્ષય ઉર્જા પ્લાન્ટ સ્થાપિત થઈ રહ્યો છે.’ આ ભારત-પાકિસ્તાન સરહદથી એક કિલોમીટરની અંદર છે. ‘સરકારે જણાવવું જોઈએ કે શું આ પ્રોજેક્ટ માટે રાષ્ટ્રીય સુરક્ષા પ્રોટોકોલમાં છૂટ આપવામાં આવી છે અને ભારત સરકારે આ પ્રોજેક્ટ માટે કેટલી છૂટ આપી છે, જેમાં સૌર ઉર્જા અને પવન ઉર્જા બંનેનું ઉત્પાદન કરવામાં આવશે?’

કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જવાબમાં જણાવ્યું કે જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ મંજૂર થાય છે, ત્યારે કેન્દ્ર, રાજ્યો અને અન્ય સંબંધિત સંસ્થાઓ પાસેથી તમામ જરૂરી લાઇસન્સ વગેરે મેળવવામાં આવે છે. મંત્રીના જવાબ પર વિપક્ષી સભ્યોએ અસંતોષ વ્યક્ત કરવાનું શરૂ કર્યું. કેટલાક સભ્યોને એવું પણ કહેતા સાંભળવામાં આવ્યા કે પ્રશ્નનો જવાબ મળ્યો નથી.

લોકસભામાં વિપક્ષી સાંસદોએ થોડીવાર સુધી સૂત્રોચ્ચાર કર્યા પછી ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. મનીષ તિવારીએ સંસદ સંકુલમાં જણાવ્યું કે, ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચે સંકલનની જરૂર છે. ખાવડામાં એક વિશાળ નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ સ્થાપિત થઈ રહ્યો છે. તે પ્રોજેક્ટ ભારત-પાકિસ્તાન સરહદના એક કિલોમીટરના ત્રિજ્યામાં સ્થાપિત કરવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષાના નિર્દેશો મુજબ સરહદથી દસ કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રોજેક્ટ સ્થાપિત કરી શકાતો નથી. આજે અમે સરકારને પૂછ્યું કે શું તેણે રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશોમાં છૂટછાટ આપી છે.’ સરકાર તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતાં સમગ્ર વિપક્ષે ગૃહનો બહિષ્કાર કર્યો.

You may also like

Leave a Comment