ગાંધીનગરમાં ધમધમતા ગેમ ઝોન પર તંત્ર ત્રાટકયું, 17 ગેમ ઝોન પર તપાસના આદેશ અપાયા

by JAYENDRA UPADHYAY
0 comments

ગાંધીનગર: રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ગુજરાતમાં ફાયર એનઓસી સહિતની જરૂરી મંજૂરી વગર ધમધમતા ગેમ ઝોન સામે સરકારે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. રાજ્યભરમાં ચાલતા ગેમ ઝોન વિરોધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાવવામાં આવતા ગાંધીનગરમાં પણ ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા છે.ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ મિટિંગમાં કમિશનર ઉપરાંત નાયબ મનપા કમિશનર, ટાઉન પ્લાનિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ ઇજનેર, ફાયર, સંકલન વિભાગ, રેવન્યુ વિભાગ, જિલ્લા પોલીસ તંત્રના પ્રતિનિધિઓ વગેરે હાજર રહ્યા હતા. હાજર અધિકારીઓ સાથે ગેમ ઝોન પ્રકરણમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવીન હતી. શહેરમાં ચાલતા અંદાજિત 17 જેટલા ગેમ ઝોનમાં જરૂરી મંજૂરી લેવાઈ છે કે નહીં તેની તપાસ કરવાના કડક આદેશ આપવામાં આવ્યા છે. આજે સવારથી ગાંધીનગરમાં ધમધમતા ગેમ ઝોન પર તંત્ર દ્વારા તપાસ ચાલી રહી છે. ફાયર એનઓસી તેમજ અન્ય જરૂરી મંજૂરીઓ ન ધરાવતા તમામ ગેમ ઝોન સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. જોકે મોટાભાગના ગેમ ઝોન સંચાલકોએ સ્વેચ્છાએ પોતાના ગેમ ઝોન બંધ કરી દીધા હોવાનું સામે આવ્યું છે.

You may also like

Leave a Comment