કચ્છ જિલ્લામાં વીજ પુરવઠો 24 થી 48 કલાકમાં પુનઃસ્થાપિત થશે

કચ્છ જિલ્લામાં વીજ પુરવઠો 24 થી 48 કલાકમાં પુનઃસ્થાપિત થશે

આપણે સામૂહિક પ્રયાસોથી વાવાઝોડાની મોટી જાનહાનિ ટાળી છે – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ

૦૦૦૦

ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા

૦૦૦૦

ભુજ, શુક્રવાર :

આજરોજ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે બિપરજોય વાવાઝોડાની હાલની પરિસ્થિતિનો ખ્યાલ આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગના બુલેટિન મુજબ બિપરજોય સાયક્લોનિક સ્ટોર્મ ભુજથી ૪૦ કી.મી ઉપર છે તથા પુર્વ તથા ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. જે ૧૬ જુનની રાત્રી સુધીમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે. તેઓએ કોટેશ્વર ખાતે હાલ પવનની ગતિ અંદાજે ૧૨૦ કિમી/કલાક હોવાનું જણાવ્યું હતું.

તેઓએ જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓ અંગે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, સ્થળાંતરનો આંક ૫૪૨૨૯ સુધી પહોંચ્યો છે. જેમાં ૪૦૧૪ બાળકો,૧૩૯૯ વૃદ્ધ, ૫૫ર સગર્ભા મહિલા અને ૪૫૦૯ અગરીયા કામદારોનો પણ‌ સમાવેશ થાય છે.

કચ્છમાં ૧૬ જૂનથી અત્યાર સુધીમાં ૮૮૫ મી.મી. વરસાદ નોંધાયો ‌છે. ભારે વરસાદ અને પવનના લીધે ૬૩ જેટલા રસ્તાઓને અસર થઈ હતી. જોકે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓ ઉપર વૃક્ષો હટવવાની કામગીરી માટે વિવિધ ૨૫ જેટલી ટીમો કાર્યરત છે. કચ્છમાં વાવાઝોડાના લીધે કોઈ પુલ ક્ષતિગ્રસ્ત થયેલ નથી.

વાવાઝોડાના લીધે રહેણાંક મકાનમાં નુકસાનની વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર કચ્છ જિલ્લામાં ૧૬૭૦ જેટલા કાચા અને ૨૭૫ જેટલા પાકા મકાન અસરગ્રસ્ત થયેલા છે. જે અન્વયે સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ મુજબ ૯૪ ટીમો દ્વારા સરવેની રાહતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જિલ્લાના ૩૪૮ મકાનોમાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. જ્યારે કોઈ બંદર કે જેટી ક્ષતિગ્રસ્ત થયેલી નથી. આ ઉપરાંત કોઈ જ શીપ બોટને પણ નુકસાન થયું નથી.

કેન્દ્ર અને રાજ્ય સરકારના મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીના અભિગમના કારણે કચ્છ જિલ્લામાં વાવાઝોડાના કારણે કોઈ માનવ મૃત્યુ થયું નથી. તેઓએ આરોગ્યની સુવિધાઓ વિશે માહિતી આપતા જણાવ્યું કે, ૬૯ પી.એચ.સી., ૩ એસ.ડી.એચ, ૧૬ સી.એચ.સી. બનાવવામાં આવ્યા છે. આરોગ્ય સુવિધાઓ માટે અન્ય જિલ્લામાંથી ૨૦ મેડીકલ ઓફિસર તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વધારાના ૯૦ ડોકટરની ફાળવણી સાથે આરોગ્ય સારવાર માટે ૧૮૭૪ બેડની વ્યવસ્થા પણ સરકારી તંત્ર દ્વારા કરાઈ છે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે, આગોતરા આયોજન થકી કુલ ૫૫૨ સગર્ભાઓને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા, તેમાંથી ૩૮૨ બાળકોનો જન્મ સફળતાપૂર્વક થયેલ છે. ૧૭૫ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીધામમાં પતરૂ ઉડવાથી ૧ તેમજ મુન્દ્રામાં ૫, અંજારમાં મકાન પડવાથી ૨ એમ કુલ ૮ માનવ ઈજાના કેસ નોંધાયા છે. તમામ કેસોમાં જરૂરી તબીબી સારવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લામાં ૮૦ હજાર જેટલા વીજપોલ, ૮ સબસ્ટેશન ટ્રાન્સમિશન લાઈન,૧૦૩ જેટલા ફીડર ક્ષતિગ્રસ્ત થયા છે. પીજીવીસીએલ તથા જેટકોની ૧૨૫ જેટલી ટીમો દ્વારા સમારકામ તથા વીજ પુરવઠો પુન:સ્થાપન કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »