વેરાવળમાં નાના હોડી ધારકોને સરકારના 1 ઓગસ્ટના પરિપત્રમાંથી મુક્તિ આપવા માગ

by JAYENDRA UPADHYAY
0 comments

વેરાવળમાં જિલ્લાભરના માછીમાર સમાજના આગેવાનોની બેઠક યોજાઇ હતી જેમાં રાજ્ય સરકારના 1 ઓગસ્ટથી માછીમારી પર પ્રતિબંધના પરિપત્રમાંથી નાના હોડી ધારકોને મુક્તિ આપવા માટે માંગ કરવામાં આવશે.સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના માછીમારો માટે માછીમારીએ રોજીરોટીને સ્પર્શતો મુદ્દો છે. તેમજ છેલ્લા 2 વર્ષથી માત્ર ગુજરાત સરકારના આવા પરિપત્રથી રાજ્યના નાના મોટા માછીમારોને નુકશાની વેઠવાનો વારો આવે છે અને અન્ય રાજ્યના માછીમારો રાજ્યની બોર્ડરો પર માછીમારી કરી કિંમતી માછલીઓની ફિશીંગ કરી જાય છે, જેથી રાજ્યના માછીમારોને નુકશાન પહોંચે છે.વેરાવળ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી ગોહેલના જણાવ્યા મુજબ, આ મુદ્દો જિલ્લાના 11,000થી વધુ નાના હોડીધારકોની રોજગારી સાથે જોડાયેલો છે. માછીમારી સિઝનના શરૂઆતના 15-20 દિવસમાં મળતી પાપલેટ નામની કિંમતી માછલી નાના હોડીધારકો માટે આખા વર્ષની આજીવિકાનો આધાર બને છે. છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકારના પરિપત્રને કારણે ગુજરાતના નાના હોડીધારકો માછીમારી કરી શકતા નથી. જ્યારે મહારાષ્ટ્રના માછીમારો ગુજરાત બોર્ડર પર મોટા પ્રમાણમાં માછીમારી કરીને પાપલેટ માછલી લઈ જાય છે, જેનાથી ગુજરાતના માછીમારોને નુકસાન થાય છે. આ મુદ્દે સાંસદ અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફતે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે. મોટી ટ્રોલર બોટને નહીં, પરંતુ નાના OBM હોડીધારક માછીમારોને 1 ઓગસ્ટથી માછીમારી માટે છૂટ આપવાની માંગ કરવામાં આવશે.બેઠકમાં વેરાવળ, જાલેશ્વર, હીરાકોટ, સુત્રાપાડા, ધામળેજ, મૂળદ્વારકા, મઢવાડ, કોટડા, નવાબંદર, રાજપરા સહિત ગીર સોમનાથ જિલ્લાના તમામ બંદરના આગેવાનો હાજર રહ્યા હતા.

You may also like

Leave a Comment