અત્યાર સુધીમાં કુલ ૯૨ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, ૪૭ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

by JAYENDRA UPADHYAY
0 comments

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૯૨ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૪૭ મૃતદેહ પરિવારજનો સોંપાયા છે, એવું અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના પ્રાધ્યાપક ડૉ. રજનીશ પટેલે આજે સવારે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું.
મીડિયા બ્રીફિંગમાં વધુમાં જણાવાયું હતું કે અન્ય ૦૮ પરિજનોને આગામી બે કલાકમાં તેમના સ્વજનના નશ્વર દેહને સોંપવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં હાલ ૧૩ના પરિજનો હાજર છે, જેઓને તેમના સંબંધીઓના પાર્થિવ દેહ સન્માનભેર આપવામાં આવશે. વધુ ૮૭ પરિજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૧૨ પરિવારો એવા છે, જેમના અન્ય સંબંધીઓના ડીએનએ મેચિંગનું પરિણામ મળ્યા બાદ તેઓ પાર્થિવ દેહને એકસાથે સ્વીકારવાના છે, જ્યારે ૧૧ પરિવારો કુટુંબીજનો સાથે ચર્ચા કરીને મૃતદેહ સ્વીકારવા આવવાના છે.

૧૬ જૂનના રોજ સવારે ૯.૩૦ કલાક સુધીમાં કુલ ૪૭ મૃતદેહ સોંપાયા, એમાં ખેડા, અમદાવાદ, બોટાદ, મહેસાણા, ભરૂચ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, આણંદ, મહીસાગર, ગાંધીનગર અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં ૧૨મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલુ AI171 વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડો. રજનીશ પટેલે આજે સવારે ૯.૩૦ કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી.

ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે પાર્થિવદેહ પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.

You may also like

Leave a Comment