પહલગામ હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવા તૈયાર છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ચાર મહત્ત્વની બેઠકો યોજાશે. આ બેઠકોમાં પાકિસ્તાન વિરૂદ્ધ વધુ કડક પગલાં લેવાઈ શકે છે. જેની બ્લૂપ્રિન્ટ તૈયાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.બુધવારે સવારે 11 વાગ્યે સૌથી પહેલા કેબિનેટ સુરક્ષા કમિટીની બેઠક યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સીસીએસની બેઠક યોજાશે. આ બેઠકમાં સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા થશે. પહલગામ હુમલા બાદ આ બીજી સીસીએસ બેઠક યોજાશે.CCS બાદ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ સીસીપીએ- રાજકીય બાબતોની કેબિનેટ કમિટી (કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સ)ની બેઠક થશે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા, નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રી જિતનરામ માંઝી, સર્વાનંદ સોનેવાલ, રાજમોહન નાયડૂ સહિતના અન્ય સભ્ય સામેલ થશે.
