અમદાવાદ: શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અસંખ્ય ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન મોટી સંખ્યામા પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે.ચંડોળા તળાવમાં દબાણ સામે અમદાવાદની સૌથી મોટી કાર્યવાહી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી હતી. બેઠકમાં ચંડોળા તળાવ વિસ્તારમાં હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અધિક મુખ્યસચિવ અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ એમ.કે. દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા અમદાવાદ કલેક્ટર સુજિત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે. ત્યારે હવે આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે. અરજદારોએ કહ્યું કાનૂની નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશીઓ હોવાનું પુરવાર થયું નથી. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી. પુનર્વસનની પણ કોઈ વાત નથી. હાઇકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરાઈ હતી. આ મામલે આજે સુનાવણી થઈ હતી. હાઇકોર્ટે આ અરજીને નકારી કાઢી ડિમોલિશનને લીલી ઝંડી આપી દીધી છે.
