જખૌ ખાતે પૂજ્ય ઓધવરામજી મહારાજના  પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

કચ્છના અબડાસા તાલુકાના જખૌ ગામે સદગુરુ ભગવાન વાલરામજી શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત પૂજ્ય ઓધવરામજી મહારાજના નૂતન મંદિરના ત્રિદિવસીય ભાવ પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્સવ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુશ્રી ઓધવરામજીના જીવનને સમાજ માટેના સમર્પણનું જ્વલંત ઉદાહરણ ગણાવીને ઓધવરામ મંદિરને સૌના કલ્યાણ-સૌના વિકાસની ભાવનાને ચરિતાર્થ કરતું એક દિવ્ય ચેતનાનું કેન્દ્ર જણાવ્યું હતું.

 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઓધવરામજી મહારાજીના નૂતન મંદિરના દર્શન કરીને પૂજ્ય ગુરુશ્રી હરિદાસજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પરશુરામ જ્યંતિના પાવન પ્રસંગે આધ્યાત્મિક ધરતી અબડાસા ખાતે ઓધવરામજીના પવિત્ર તીર્થસ્થાને આયોજિત સુવર્ણ મહોત્સવમાં સહભાગી થવા બદલ મુખ્યમંત્રીશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આર્થિક પ્રગતિને કેન્દ્રમાં રાખીને સમાજના તમામ વર્ગોના કલ્યાણ અને સામાજિક સમરસતા સાથેના વિકાસની નેમ રાખી છે. આ જ દિશામાં શ્રી ઓધવરામજી મહારાજે પણ તેમના સમયમાં સમાજમાં પ્રચલિત છૂત-અછૂત, કુટેવો, કુ-રિવાજો સામે ચેતના જગાવીને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, ગુરુશ્રી ઓધવરામજીએ આધ્યાત્મિકતા સાથે ધર્મ-પારાયણ જીવન જીવીને લોક-કલ્યાણ માટે પ્રવૃત્તિશીલ રહેવાનો સેવાયજ્ઞ પ્રગટાવી સમાજને દિવ્ય પ્રેરણા પૂરી પાડી છે. શ્રી ઓધવરામજીના સેવાયજ્ઞને ભાનુશાળી સમાજે ધર્મભાવના સાથે સતત પ્રજ્જવલિત રાખ્યો છે તે વાતની ખુશી સાથે મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર સમાજને અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ઓધવરામજીના જીવન-કવનને યાદ‌ કરતાં જણાવ્યું હતું કે, ધર્માંતરણ કરી ગયેલા લોકોને હિન્દુ ધર્મમાં પરત જોડવા, ગીતાજીનો જનજન સુધી બોધ, અંધજન માટે ગુરુકૂળ અને સંગીત શાળા, ઋષિ કૃષિ વિદ્યાલયથી કચ્છ પ્રદેશમાં ખેતીના આધુનિકરણની પ્રેરણા વગેરે ધાર્મિક અને સામાજિક ઉદ્ધારની પહેલ એ સમાજને નવી દિશા આપી છે.‌

મુખ્યમંત્રીશ્રી એ ત્રિ-દિવસીય મહોત્સવના આયોજનને ધર્મ-પારાયણતા અને સેવા-પરંપરાને આગળ વધારતો અવસર ગણાવીને ઉમેર્યું હતું કે, અક્ષય તૃતીયાના પુણ્યપર્વે આયોજિત પંચાવનમા સમૂહ લગ્નોત્સવ સમાજ‌ માટે પ્રેરણારૂપ બનશે. મુખ્યમંત્રીશ્રીએ દીકરીઓની પડખે ઊભા રહેવાનાં આ
સમૂહલગ્નના ઉમદા સેવાકાર્ય માટે શ્રી કચ્છી ભાનુશાળી સમાજ સેવા ટ્રસ્ટ સહિત તમામ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતાં. પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ અને શિવશક્તિ મહાયજ્ઞના દિવ્ય આયોજનનો લાભ અનેક શ્રદ્ધાળુઓની હાજરીને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવીને જણાવ્યું હતું કે, ગુરુશ્રી ઓધવરામજીએ સમાજના વિવિધ વર્ગો પાસે જઈને સૌના સહયોગ-યોગદાનથી સૌના કલ્યાણ માટે સેવારત રહેવાની રાહ ચીંધી હતી. આ પથ ઉપર વડાપ્રધાનશ્રીએ જન કલ્યાણ માટે એ જ દિશામાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે. લોકોને એકજૂટ થઈને જન કલ્યાણ પથ ઉપર ચાલવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની વ્યાખ્યામાં પ્રકૃતિના સંરક્ષણને, રાષ્ટ્રપ્રેમને, જનજાગૃતિને અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને જોડતા નવ સંકલ્પો નાગરિકોને અપનાવવા આહ્વાન કરતાં ઉમેર્યું હતું કે, જળ સંચય માટે “કેચ ધ રેઇન” અને ગ્રીનકવર માટે ‘એક પેડ માં કે નામ’ જેવા જનઅભિયાનમાં નાગરિકો સહભાગી બને.
સ્વચ્છતા સાથે સ્વસ્થતા, વોકલ ફોર લોકલ, પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય, ભારતના પ્રવાસનને વેગથી દેશની ભવ્યતાના દર્શન કરવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને આગળ વધારવા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. અંતમાં મુખ્યમંત્રીશ્રીએ ગરીબોના સર્વાંગી આર્થિક વિકાસ સાથે સમાજમાં સકારાત્મક પરિવર્તન થકી તમામ સંકલ્પોને સાકાર કરી વિકસિત ભારત@૨૦૪૭ના નિર્માણ માટે વિકસિત ગુજરાતની દિશામાં પ્રતિબદ્ધતા દર્શાવવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ ભારત તથા ભાનુશાલી જ્ઞાતિરત્ન ક્રાંતિગુરુ શ્રી શ્યામજી કૃષ્ણવર્માને યાદ કરતાં જણાવ્યું હતું કે, વિદેશની ધરતી પર દેશદાઝ જગાવનાર શ્રી શ્યામજી કૃષ્ણવર્મા દેશની શાન હતા, તેમની અંતિમ ઇચ્છા હતી કે, તેમના અસ્થિને વતન પરત લવાય જે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂર્ણ કરી અને તેમની યાદમાં માંડવીમાં એક સ્મારકની પણ સ્થાપના કરી છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના કચ્છ માટે શિક્ષણની ચિંતા કરતા ૪૦૦૦થી વધુ શિક્ષકોની સ્થાનિક ભરતી કરવાના નિર્ણયને સાંસદશ્રીએ મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. આ પ્રસંગે સાંસદશ્રીએ ભાનુશાલી સમાજના વતન પ્રેમને બિરદાવીને વિવિધ સમાજસેવાના કાર્યો દાતાઓ તેમજ શ્રેષ્ઠીઓ કરતા રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કરતાં અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અબડાસા તાલુકાના વિકાસને પ્રાથમિકતા આપીને અનેક વિકાસકામોની ભેટ આપી છે. ધારાસભ્યશ્રીએ નર્મદાનું પેયજળ, કોલેજ, રોડ રસ્તાઓ અને પ્રવાસન તેમજ ધાર્મિક સ્થળોના વિકાસ માટે આભારની લાગણી મુખ્યમંત્રીશ્રી સમક્ષ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે પૂજ્યશ્રી હરિદાસજી મહારાજે ભૂપેન્દ્ર પટેલની‌ આગેવાનીમાં સરકારના લોક કલ્યાણના કાર્યોને બિરદાવ્યા હતા. પૂજ્યશ્રી મહારાજે વડાપ્રધાનશ્રી, મુખ્યમંત્રીશ્રી સહિત તમામ મહાનુભાવોને આર્શીવચન આપીને રાષ્ટ્રહિત પ્રત્યેની તેમની નિષ્ઠાને પ્રસંશનીય ગણાવી હતી.ભાનુશાલી સમાજની વિવિધ લોકહિતની પ્રવૃતિઓ અંગે પૂજ્ય હરિદાસજીએ મુખ્યમંત્રીશ્રીને અવગત કર્યા હતા.‌

આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ અને શ્રી ધવલભાઈ આચાર્ય, ભાનુશાલી સમાજના આગેવાનશ્રીઓ દામજીભાઈ જોયસર, શ્રી રાજભાઈ દામા , શ્રી તુલસીભાઈ દામા, શ્રી હર્ષદભાઈ મંગે, શ્રી લીલાધરભાઇ માવ, શ્રી પઠાઈ શેઠ, શ્રી ચેતન માવ, શ્રી વસંતભાઈ ચાંદ્રા, શ્રી દેવજીભાઈ નંદા, શ્રી પ્રવીણભાઈ એસ. દામા, શ્રી સુનિલ આર. દામા, શ્રી ચેતન માવ સહિતના આગેવાનો, સમાજના દાતાશ્રીઓ, કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ એસપીશ્રી વિકાસ સુંડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, વિવિધ સમાજના આગેવાનશ્રીઓ, દાતાશ્રીઓ તથા મોટી સંખ્યામાં ભાનુશાલી સમાજના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજમાં વડાપ્રધાનની મુલાકાત સમયે ક્યાં રસ્તા ચાલુ, વાંચો અહેવાલ

ભુજ, આગામી તા.૨૬/૦૫/૨૦૨૫ના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની કચ્છ જિલ્લાના ભુજ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હોઇ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?