Breaking News

રાજ્યમાં વરસાદની પરિસ્થિતિમાં “ઝીરો કેઝ્યુલીટી” ના અભિગમ સાથે રાજય-જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે તૈનાત

રાજ્યમાં પ્રવર્તમાન ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે યુધ્ધના ધોરણે રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સતત મોનીટરીંગ કરીને રાહત બચાવ કામગીરી NDRF અને SDRFની ટીમો દ્વારા કરવામાં આવી રહી છે.

આજે પોરબંદર જિલ્લાના ચિંગરીયા અને માંડેર ગામના નીચાણવાળા વિસ્તારામાં ફસાયેલા 6 લોકોનું રેસક્યુ NDRF ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. નાના બાળકને મેડિકલ ઈમરજન્સી ઉભી થતા NDRFની ટીમે 2 બાળક , એક પુરુષ અને એ મહિલા સહિત કુલ 6 લોકોનું રેસક્યુ કરીને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

એજ રીતે વડોદરા શહેરના વડસર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે ફસાયેલા ૪૯ લોકોને એનડીઆ રએફની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.જેમાં ૧૯ પુરુષ,૧૫ મહિલા,૧૪ બાળકો અને એક નાના બાળક સહિત કુલ ૪૯ લોકોનો સમાવેશ થાય છે.

આજવા સરોવરમાંથી પાણી છોડાતાં વિશ્વામિત્રી નદી કિનારાના સુખલી પુરા, કોટાલી, દેણા અને આસોજ ગામની નદીમાં જળસ્તર વધતા નદી કિનારાના સુખલીપૂરામાંથી ૭૧ અને કોટાલીમાંથી ૭૦ સહિત કુલ ૧૪૧ લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. આશ્રયસ્થાનોમાં આશરો લેતા લોકોને જિલ્લા પ્રશાસન દ્વારા ભોજન અને પીવાના પાણીની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં ઈન્દીરા નગર, બંબુસર, કરગાટ, પરિએજ,જંગાર અને જંબુસરના સામોદ વગેરે સ્થળોના સ્થળાંતરિત આશ્રિતો માટે ભોજન અને નિવાસની ઉત્તમ સુવિધા ઉભી કરાઈ હતી.

ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ અને વરસાદી પાણી ભરાવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતરિત આશ્રિતોના વ્યક્તિઓને સુરક્ષિત રીતે ખસેડીને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જ્યાં અસરગ્રસ્ત આશ્રિતો ભોજન, પીવાના પાણી, જરૂરી દવા, સુવા માટે ગાદલા, ચાદરો સહિતની આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો અસરગ્રસ્ત થયા છે. સુરતના ઓલપાડ તાલુકાના વાડોલી ગામ ભારે વરસાદથી નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા 4 લોકો ફસાયેલા હતા. સ્થાનિક પ્રશાસન અને NDRF ની ટીમ દ્વારા ફસાયેલા 4 લોકો અને પશુઓનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડનો હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત વિકાસ થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને હાઈ સ્પીડ કોરીડોર અંતર્ગત વિકસાવવા માટે ૨૬૨.૫૬ કરોડ રૂપિયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?