પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ગુજરાત એલર્ટ છે.ભુજ, કંડલા, મુન્દ્રા એરપોર્ટ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. તો અમદાવાદ એરપોર્ટથી ઉડાનભરતી ભુજ, જામનગર અને રાજકોટ જતી-આવતી બધી ફ્લાઇટ્સ રદ કરી દેવાઈ છે. આ સાથે સુરક્ષાને પગલે બોર્ડર નજીકના વિસ્તારોમાં સુરક્ષાદળોએ ચેકિંગ પણ વધારી દીધુ છે.
એર ઇન્ડિયાએ આજે (7 મે) બપોરે 12 વાગ્યા સુધીમાં ઉત્તર ભારત તરફથી આવતી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ચંદીગઢની ફ્લાઇટ રદ કરી દીધી છે. સ્પાઇસ જેટે પણ હાલની આ પરિસ્થિતિને કારણે ઉત્તર ભારતથી ધર્મશાળા, લેહ, જમ્મુ, શ્રીનગર અને અમૃતસર સહિતની ફ્લાઇટ્સ આગામી સૂચના સુધી બંધ કરી દીધી છે.
આ અંગે ભુજ એરપોર્ટના અધીકારી નવીન સાગરના જણાવ્યા મુજબ આજથી ત્રણ દિવસ માટે ભુજ, મુન્દ્રા, કંડલા ત્રણેય એરપોર્ટ બંધ કરવામાં આવેલ છે.નવી સુચના મળશે તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
એર ઇન્ડિયાએ X પર પોસ્ટ કર્યું છે કે “એરપોર્ટ અધિકારીઓ દ્વારા આ એરપોર્ટ બંધ કરવાની સૂચનાને પગલે એર ઇન્ડિયા દ્વારા જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ એરપોર્ટ પર આવતી અને જતી ફ્લાઇટ્સ 10 મેના રોજ 5:29 વાગ્યા સુધી રદ કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન મુસાફરી માટે માન્ય ટિકિટ ધરાવતા ગ્રાહકોને રિશેડ્યુલિંગ ચાર્જ પર એક વખતની છૂટ અથવા રદ કરવા બદલ સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.