અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં બનેલા કેસની વિગત એવી છે કે નવરંગપુરા વિસ્તારના લખુડી તળાવ પાસે રહેતા સંજય ઉર્ફે શિવો નાયક નામના આરોપીએ વર્ષ 2022માં સિનિયર સીટીઝનના ઘરે એક મહિલા કેર ટેકર તરીકે કામ કરતી મહિલા પર એસિડ એટેક કરેલો.શરૂઆતમાં લખુડી તળાવ પાસે કામે જતી મહિલા સાથે રીક્ષા ચાલક શિવા નાયકનો પરિચિત થયો. બાદમાં કામ કર્યા બાદ મહિલા શિવા નાયકની રિક્ષામાં ઘરે જતી વખતે એકબીજા વાતચીત કરતા હતા. જે પછી શિવા નાયક મહિલા સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો. જેથી મહિલાએ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. પરતું અચાનક એક દિવસ રાત્રે મહિલાને શિવાએ રોકી વાત કરવાનું કહ્યું હતું પણ મહિલા વાત કર્યા વગર જતી રહી. આ દરમિયાન 6 માર્ચ 2022ના રોજ શિવાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક તરફી પ્રેમમાં મહિલા પર જાહેરમાં જ એસિડ ફેંક્યો હતો. જેથી તેના મોઢા સહિત શરીરનો ભાગ બળી ગયો હતો. આ મામલે ઘાટલોડિયા પોલીસે ફરિયાદ નોંધી 8 માર્ચના રોજ શિવાને ઝડપી લીધો હતો.
ત્યારબાદ પોલીસે આરોપી સામે ચાર્જશીટ કરતા કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલ ભાવેશ પટેલે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, એક તરફી પ્રેમમાં શિવા નાયક મહિલા સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો અને મહિલા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતો હતો પરંતુ મહિલા વાત ન કરતા અંતે ગુસ્સામાં એસિડ એટેક કર્યો હતો. મહિલાના શરીર પર એસિડ એટેક થતાં મોઢું અને છાતીનો 15 ટકા જેટલો ભાગ બળી ગયો છે.