સુરત: શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે 134 શકમંદ બાંગ્લાદેશીને પકડ્યા છે. તમામને રાંદેર વિસ્તારના ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યૂરો અને પશ્ચિમ બંગાળની IB ટીમ સુરતમાં આવી પહોંચી છે. બંને ટીમોએ શકમંદોની ઓળખ માટે તમામને નંબર અને ટેગ આપ્યા છે. આ નંબરિંગ સિસ્ટમ પોલીસ તાલીમ દરમિયાન ટ્રેની પોલીસકર્મીઓને અપાતા નંબર જેવી જ છે.IB ટીમે અલગ અલગ ટીમો બનાવી છે. દરેક ટીમમાં પાંચ અધિકારીઓ છે. એક સાથે ચાર શકમંદોની પૂછપરછ થાય છે. પ્રથમ રાઉન્ડ બાદ દરેક શકમંદને ફરીથી અલગથી બોલાવી વધુ માહિતી મેળવવામાં આવે છે. 25થી વધુ IB અધિકારીઓ સુરતમાં હાજર છે, તેઓ શકમંદોના ઓળખપત્રો અને દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છે. તમામ માહિતીનો રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવશે.સુરત પોલીસ પણ ચાર સ્તરે તપાસ કરી રહી છે. PSI, PI, ACP અને DCP કક્ષાના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. DCB કક્ષાના બે અધિકારીઓ તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે. સમગ્ર પ્રક્રિયામાં IBની ટીમ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. IBએ એક એક વ્યક્તિ પાસેથી ચાંપતી પૂછપરછ દ્વારા માત્ર તથ્યો જ નહીં, પરંતુ તેમનાં સગાં-સબંધીઓ, ભારતનાં અન્ય શહેરોમાં સંભવિત નેટવર્કિંગ અને ભારતમાં પ્રવેશનો માર્ગ કેવી રીતે મેળવ્યો એની સંપૂર્ણ માહિતી એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે રીતે પાકિસ્તાન સમર્થિત આંતકવાદીઓએ ગોળીબાર કરી નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે જેને લઈને સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
