ગાંધીનગર
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી ચાલતી કેસ પેપરની રૂ.5ની ફી પ્રથા હવે બંધ કરવામાં આવી છે. આ નિર્ણયથી દરરોજ 1500થી 1700 જેટલા નવા દર્દીઓને ફાયદો થશે. આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ ગત વર્ષે 16 ડિસેમ્બર 2023ના રોજ સિવિલની મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલ સત્તાધિશોને દર્દીઓ પાસેથી કેસ ફી લેવા અંગે પ્રશ્ન કર્યો હતો. સત્તાધિશોએ નિયમ મુજબ ફી લેવાતી હોવાનું જણાવ્યું હતું. અગ્ર સચિવે આ ફીમાંથી થતી આવકના આંકડા માગ્યા હતા. સિવિલમાં દરરોજ 2500થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. તેમાંથી 1500થી 1700 દર્દીઓ નવા કેસ કઢાવતા હતા. આ ફીથી હોસ્પિટલને દૈનિક 8000થી 8500 રૂપિયાની આવક થતી હતી. વાર્ષિક આવક આશરે 30 લાખ રૂપિયા થતી હતી. આ નિર્ણયથી ગરીબ દર્દીઓને મોટી રાહત મળી છે. હવે તેમને છૂટ્ટા પૈસાની વ્યવસ્થા કરવાની ચિંતામાંથી મુક્તિ મળી છે. અગ્ર સચિવની સૂચના બાદ દોઢ વર્ષે લેવાયેલા આ નિર્ણયને લોકોએ આવકાર્યો છે.
