ભુજ
કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. પાંચમા નોરતે બુધવારે રાત્રે મહાઆરતી સાથે મંદિર પરિસરમાં મોડી રાત સુધી રાસ-ગરબાની રમઝટ જામી હતી. મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાએ ગરબીની સ્થાપનાની આરતી ઉતારી હતી. ત્યારબાદ કચ્છ-સૌરાષ્ટ્રના જાણીતા કલાકાર ઉમેશ બારોટ અને રાજા વાસુ ગ્રુપે માતાજીના દુહા-છંદ સાથે રાસ-ગરબાની રમઝટ જમાવી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિકોએ રાસમાં ભાગ લીધો હતો.
આવતીકાલે સાતમા નોરતે રાત્રે 9:15 કલાકે જગદંબા પૂજન થશે. ત્યારબાદ રાત્રે 10 વાગ્યે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હોમ-હવનની ધાર્મિક વિધિ યોજાશે. મોડી રાત્રે 1:30 કલાકે બીડું હોમવામાં આવશે. ચૈત્રી નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં માઈ-ભક્તો માં આશાપુરાના દર્શનાર્થે આવી રહ્યા છે. મંદિર પરિસરમાં મીની મેળા જેવો માહોલ જામ્યો છે. ભક્તોની વિશાળ સંખ્યાને કારણે મંદિર પરિસર સાંકડો પડી રહ્યો છે.