સુરેન્દ્રનગરમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમન દ્વારા રાણા સાંગા વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીએ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે. આ મુદ્દે રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા અને સાંસદની આ ટિપ્પણીને લઈને વિરોધ નોંધાવ્યો હતો. ક્ષત્રિય સમાજે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાણા સાંગા જેવા શૂરવીર વિશે કરવામાં આવેલી આવી ટિપ્પણીઓ કોઈપણ સંજોગોમાં સહન નહીં કરવામાં આવે. સમાજે માંગ કરી છે કે સાંસદ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને તેમનું સંસદનું સભ્યપદ રદ કરવામાં આવે. આ ઉપરાંત, ભવિષ્યમાં રાજ્યસભા કે વિધાનસભામાં કોઈપણ નેતા દ્વારા સ્વતંત્રતા સેનાનીઓ કે શૂરવીરો વિશે ટીકા કે ટિપ્પણી ન થાય તે માટે ઠરાવ પસાર કરવાની માંગ પણ ઉઠી છે.ક્ષત્રિય સમાજે સમાજવાદી પાર્ટીના સાંસદ પાસેથી માફીની માંગ કરી છે અને સાથે જ આ અંગેના રેકોર્ડ દૂર કરવાની માંગણી પણ ઉઠાવી છે. આ મુદ્દે કડક પગલાં લેવાની માંગ સાથે સમાજ દ્વારા એક અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે, જેની સમયમર્યાદા 12મી એપ્રિલ, 2025 સુધીની રાખવામાં આવી છે. ક્ષત્રિય સમાજે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો સાંસદ રામજી સૂમન દ્વારા માફી નહીં માંગવામાં આવે અને રેકોર્ડ દૂર નહીં કરવામાં આવે તો 12મી એપ્રિલે આગ્રામાં કરણી સેના અને ક્ષત્રિય સમાજ એકત્ર થશે. આ એકત્રીકરણ દ્વારા આ મુદ્દે વધુ દબાણ ઊભું કરવાની યોજના છે. સમાજનું કહેવું છે કે રાણા સાંગા જેવા મહાન યોદ્ધા અને ગૌરવશાળી ઇતિહાસનું અપમાન કરવું એ કોઈપણ રીતે સહન નહીં કરવામાં આવે.
