અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે, જેમાં મુસ્લિમ કાયદા અનુસાર દેવું એ વારસાગત ન હોવાની દલીલ કરવામાં આવી છે. પરિણામે એક મુસ્લિમ પુત્રએ હાઇકોર્ટમાં અરજી કરીને તેના પર પિતાનું દેવું ચૂકવવાની જવાબદારી ન હોવાનો દાવો કર્યો હતો. જોકે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે પુત્રની આ અરજી નકારી કાઢી છે.
આ મામલે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યું કે, અરજદાર પુત્ર દ્વારા જે પણ મુદ્દા ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે તેની વિસ્તૃત તપાસ અને છણાવટ થઈ શકે છે.
શું હતો કેસ ? આ કેસની વિગત અનુસાર ઇમરાન નામના વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. પિતાએ લીધેલી લોનની રિકવરી અરજદાર પુત્ર પાસેથી કરવા માટે બેંક દ્વારા કેસ દાખલ કરાયો હતો. આ કેસ રદ કરવાની પુત્રની અરજી નીચલી અદાલતે રદ કરતા તેની સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, અરજદારના પિતાએ લીધેલી લોનને પરત કરવાની જવાબદારી પુત્ર પર રહેતી નથી, કારણ કે મુસ્લિમ કાયદામાં દેવું એ વારસાગત બાબત નથી.
અરજીમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, લોન લેનારા પિતાના વારસદાર નાતે અરજદારને રિકવરી કેસમાં પ્રતિવાદી તરીકે દર્શાવવામાં આવ્યો છે. એસ કે ટેક્સટાઇલના પ્રોપરાઈટરની ક્ષમતાએ પણ તેને કેસમાં જોડવામાં આવ્યો છે. અદાલતમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટમાં પણ એસ કે ટેક્સટાઇલના પ્રોપરાઈટર તરીકે અરજદારના પિતાએ લોન લીધી હોવાનું જણાય છે.