મોરબી-કચ્છ હાઇવે ફરી શરૂ કરાયો

by JAYENDRA UPADHYAY
0 comments

મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા માળીયાના હરીપર પાસે કે જ્યાં મચ્છુ નદીના પાણી ફરી વળતા કચ્છ-મોરબી હાઇવે બંધ કરાયો હતો, ત્યાં પહોંચીને મંત્રીશ્રીએ ભારે વાહનો સહિત તમામ યાતાયાત ફરી શરૂ કરાવ્યો હતો.

મચ્છુ નદીમાં આવેલા પૂરનું પાણી માળીયા વિસ્તારમાં ફરી વળ્યું હતું ત્યારે માળિયાના હરીપર નજીક મોરબી કચ્છ હાઇવે પર મચ્છુ નદીના પાણી આવી જતા મોરબી કચ્છ નેશનલ હાઇવે બે દિવસથી બંધ કરવામાં આવ્યો હતો. ગઈકાલે મંત્રીશ્રીએ આ સ્થળની મુલાકાત લઇ પરિસ્થિતિ સામાન્ય લાગતા નાના વાહનો માટે વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. આજે જ્યારે વરસાદે વિરામ લીધો છે અને મચ્છુ નદીના પાણી ઓસરવા લાગ્યા છે, ત્યારે મંત્રીશ્રીએ ફરી આ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લઇ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

ગઈકાલની બેઠકમાં મંત્રીશ્રીએ નેશનલ હાઇવેના અધિકારીઓને સવાર સુધીમાં ભારે વાહનો માટે હાઈવે ચાલુ કરવો શક્ય છે કે કેમ તે બાબતે સવાર સુધીમાં ચકાસણી કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું. આજે ભારે વાહનો માટે નેશનલ હાઇવે ચાલુ કરી શકાય તે બાબતે નેશનલ હાઇવે દ્વારા મંત્રીશ્રીને રિપોર્ટ કરતા મંત્રીશ્રીએ નેશનલ હાઈવે તેમજ પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રને હાઇવે પર ભારે વાહનો સહિત તમામ યાતાયાત ફરી પૂર્વવત કરવા સૂચના આપી તમામ વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.

આ વેળાએ મંત્રીશ્રી સાથે મોરબી-માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદીપ વર્મા, માળીયા મામલતદારશ્રી કે.વી. સાનિયા સહિત અધિકારીશ્રી સ્થાનિક પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You may also like

Leave a Comment