30
નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 5 મીટર વધી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 131.50 મીટર પર પહોંચી ગઈ હતી. ઉપરવાસમાંથી 6 લાખ ક્યુસેક પાણીની આવક હજુ પણ ચાલુ છે. જેને કારણે આજે 11.30 કલાકે નર્મદા ડેમ તંત્ર દ્વારા 5 ગેટ ખોલવામાં આવ્યા હતા અને બપોર બાદ પણ ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતાં વધુ 5 ગેટ ખોલવામાં આવ્યા છે.
બીજી બાજુ, પાવરહાઉસના છ ટર્બાઈન શરુ કરાયા છે. પાવર હાઉસમાંથી અને ડેમના 10 દરવાજામાંથી કુલ 1.36 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. એટલે નર્મદા નદીમાં 1.36 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે.નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં આહલાદક દ્રશ્યો જોઈ પ્રવાસીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે.હાલ ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થતાં વડોદરા, ભરૂચ અને નર્મદાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

