ભુજ
જિલ્લા મથક ભુજ શહેરના પ્રવેશદ્વાર સમાં આરટીઓ સર્કલથી આત્મારામ સર્કલ તરફના ગૌરવ પથ માર્ગે ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસોનો દિવસ દરમિયાન જમાવડો જોવા મળે છે. નાઈટ ટુરમાં ચાલતી બસો વહેલી સવારથી માર્ગ ઉપર એક કતારમાં પાર્ક કરી દેવામાં આવે છે, જે મોડી સાંજ સુધી પડી રહે છે. વિવિધ ટ્રાવેલ્સની 50 થી 60 બસો ઉભી રહેતા ડબલ માર્ગ સિંગલ માર્ગમાં ફેરવાઈ જાય છે જેના કારણે અન્ય વાહનોને પસાર થવામાં કાયમી મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક લોકોની ફરિયાદ મુજબ આ લકઝરી બસોના કારણે સતત અકસ્માતની ભીતિ રહે છે.
આ અંગે સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ શહેરમાં આવા ગમન માટે ગૌરવ પથનો ઉપયોગ કરવા દરમિયાન દિવસના સમયે અહીં એકજ કતારમાં બને તરફ 50 થી બસો પાર્ક કરાયેલી પડી રહે છે. માર્ગ ઉપર બસો ઉભી રાખી દેવાતા રસ્તો સાંકડો બની જાય છે અને ડબલ માર્ગની સુવિધાનો કોઈ મતલબ રહેતો નથી. અમૂક ટુ વહીલરની મહિલા ચાલકોએ કહ્યું રસ્તા ઉપર પડેલી બસોના ચાલકો ક્યારેક ઊંઘતા સમયે કઢંગી સ્થિતિમાં મુકાય જતા હોય છે, જેને લઈ ઔચિત્ય ભંગની પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે. તો સાંજના સમયે પસાર થવામાં ભયની અનુભુતી થાય છે.
આ મામલે સુજ્ઞ નાગરિકોએ બસોની પાર્કિંગ વ્યવસ્થા તંત્ર દ્વારા કોઈ ખુલ્લા પ્લોટ અથવા અન્ય સ્થળે કરાય તે આવશ્યક હોવાનું કહ્યું હતું, જો આમ નહિ થાય તો ભવિષ્યમાં અનિચ્છનીય ઘટના બનવાની ભીતિ તેઓએ વ્યક્ત કરી હતી.