રાપર તાલુકાના બેલા ગામે માત્ર 13 વર્ષના સગીરની તિક્ષણ હથિયાર વડે ગળુ કાપીને હત્યા કરાતા વાગડમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસ સુત્રોના અનુસાર મંગળવારે બપોરે રાપર તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલા બિલેશ્વર મહાદેવના બગીચા પાસે એક સગીરનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પરિવારજનો અને બાલાસર પોલીસને કરાઈ હતી. જેથી તાત્કાલિક ઘટના સ્થળે પરિવારજનો અને પોલીસ પહોંચી હતી. આ મામલે ત્રણ મિત્રો શંકાના દાયરામાં આવ્યા હોવાનું ખુલ્યું છે.
જ્યાં બેલા ગામની અલીયાજીની વસ્તીમાં રહેતા પ્રવીણ નામેરી રાઠોડ (ઉ.વ.13) નામના સગીરનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો, તેના શરીર પર તિક્ષણ હથિયાર વડે ઘા મારવામાં આવ્યા હોવાથી તેને રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. મૃતકના ભાઈ દ્વારા જાણવા જોગ બાલાસર પોલીસમાં કરતાં બાલાસર પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ તથા ફરિયાદ નોંધાવા સહિતની કામગીરી હાથ ધરી હતી.
માત્ર 13વર્ષના સગીરની હત્યા કરાતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી પડી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. હત્યારાઓ દ્વારા સગીરને ગળાનાં ભાગે ઉપરા ઉપરી તીક્ષ્ણ હથિયારથી ઘા મરાયા હતા, તો હાથની હથેળીઓ ઉપર અને પેટના ભાગે પણ ઊંડા ઘા માર્યાના નિશાન જોવા મળ્યા હતા.
આટલા ઘા મારવા પાછળનો શું ઉદ્દેશ્ય હશે તે હજુ અકબંધ રહ્યો હતો. કારણ કે માત્ર તેર વર્ષની ઉંમરના સગીર ઉપર આટલી નિર્દયતાથી ઝનૂની રીતે હુમલો કરી હત્યા થતા પોલીસ ખુદ ચોંકી ઉઠી હતી.