રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થયો. પાક નુકસાની માટે 10 હજાર કરોડની રાજ્ય સરકારની જાહેરાત કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી.
કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને રાહત આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે અતિ મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. જેમાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિમંત્રી અને નાણામંત્રી ચર્ચા કરી હતી. ત્યારબાદ CM ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી માહિતી આપીને પાક નુકસાની માટે 10 હજાર કરોડની રાજ્ય સરકારની જાહેરાત કરી છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે x પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.
કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.
જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સર્વેનો રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ ચૂક્યો છે. એસડીઆરએફનાં ધોરણો મુજબ ખેડૂતોને સહાય ચૂકવવા માટે કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી છે અને રાજ્ય સરકારના ભંડોળમાંથી પણ સહાય ચૂકવવાની વિચારણા ચાલી રહી છે. લગભગ 42 લાખ હેક્ટરથી વધારે અને 16 હજાર ગામથી વધારે ગામોમાં નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે.
આજે 7 નવેમ્બરે કૃષિમંત્રી જિતુ વાઘાણીએ પણ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કૃષિ વિભાગ દ્વારા જે પંચકામ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે એ જાણી શકાય એ માટે આ બેઠક કરવામાં આવી હતી. હવે આ બેઠક બાદ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે. લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો માટે આ પેકેજ આર્થિક હૂંફરૂપ બનશે.
આ વખતે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંય ગામડાંમાં કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. એને કારણે નુકસાન વધ્યું છે. જાણકારોનું માનવું છે કે આ વર્ષે 22 લાખ હેક્ટરથી વધુની જમીનમાં માત્ર મગફળીનું જ વાવેતર થયું હતું. એમાં પણ માત્ર સૌરાષ્ટ્રમાં જ 16 લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું. એનું કારણ એવું છે કે ગત વર્ષે કપાસના ભાવો ઊપજ્યા નહોતા, આથી ખેડૂતોએ કપાસને બદલે મગફળી વધુ વાવી હતી. આ વધુ વાવેતર જ ખેડૂતોની આંખોમાં વધુ પાણી લાવી રહ્યું છે.

