અમદાવાદ શહેર સ્થિત ચંડોળા તળાવ ફરતેના ગેરકાયદે વસાહતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા પછી પ્રશાસન દ્વારા આજે સરખેજમાંથી અતિક્રમણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં સરખેજથી વિશાલા સુધી નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા સિક્સલેન એલિવેટેડ કોરિડોર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનનારા આ કોરિડોર માટે સરખેજથી વિશાલા સુધીની રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા ચાંપતા બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી.આ કાર્યવાહીમાં ચાર દરગાહ, એક કબ્રસ્તાન, એક મંદિર અને એક નાની દેરીને રોડ પરથી દૂર કરવામાં આવ્યા હતા. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સરખેજથી જુહાપુરા થઈને વિશાલા સુધીના રોડ પર બનનારા એલિવેટેડ કોરિડોર માટે આ અતિક્રમણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી.તંત્રના જણાવ્યા મુજબ આ રસ્તા પર કપાતમાં આવતાં ધાર્મિક, કમર્શિયલ તેમ જ રહેણાંક મકાનો ભવિષ્યમાં પણ દૂર કરવામાં આવશે. આ કામગીરીને લઈને અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી હાઇ-વેના મુખ્ય ભાગોમાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવાના ચાલુ પ્રયાસનો એક ભાગ હતો. સરેખેજમાં હાઇવે વિસ્તરણ કાર્યમાં આ ગેરકાયદે બાંધકામો અવરોધ બની રહ્યા હતા, જેને તોડી પાડવામાં આવ્યા હતા.દબાણ દૂર કરવાની કાર્યવાહીનો કેટલાંક સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ, અધિકારીઓએ આ વિશે યોગ્ય સૂચના આપી હતી અને કાનૂની જોગવાઈના આધારે મામલો થાળે પાડી કામગીરી પૂર્ણ કરી હતી.
29

