ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા પૂર્ણ:અંદાજીત 9.09 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી

આ વર્ષે રાજ્ય સરકારે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાની સંપૂર્ણ તૈયારીઓ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે આ પરિક્રમા શરૂ થયાના 8મા જ દિવસે એટલે કે 8 એપ્રિલ, 2025ના રોજ પરિક્રમા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓનું જાતે નિરીક્ષણ કર્યું અને ‘આપકી શ્રદ્ધા, હમારી વ્યવસ્થા’નો મંત્ર આપ્યો હતો. આ જ કારણ છે કે આ વખતે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં ગત વર્ષની સરખામણીએ 4 ગણા વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ નર્મદા પરિક્રમા કરી અને તંત્ર દ્વારા તેમજ સ્થાનિકો દ્વારા ઉભી કરવામાં આવેલી સુવિધાઓને બિરદાવી હતી.
પરિક્રમા માર્ગ અને ઘાટો પર વિશેષ સુવિધા: રાજ્ય સરકારે નર્મદા જિલ્લામાં રામપુર ઘાટથી શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ સુધીના 15 કિલોમીટરના પરિક્રમા માર્ગ તેમજ ચારેય ઘાટો પર જે વ્યવસ્થાઓ ઉભી કરી, તેના કારણે શ્રદ્ધાળુઓ માટે કઠોર ગણાતી આ પરિક્રમા સુગમ બની રહી હતી. પરિક્રમા શરૂ થતાં પહેલા જ સરકાર, યાત્રાધામ બોર્ડ તથા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા માર્ગ પર રોડનું સમારકામ, પ્રોટેક્શન વૉલનું કામ, બોટિંગ જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. પરિક્રમાર્થીઓએ 70 જેટલી બોટ દ્વારા આ પરિક્રમા પૂર્ણ કરી હતી. પરિક્રમા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓના જવાનોનો મોટો કાફલો પરિક્રમા દરમિયાન સતત ખડે પડે રહ્યો હતો. આ ઉપરાંત જિલ્લાના અધિકારીઓ પણ શ્રદ્ધાળુઓ માટે અનેક રીતે સહાયક બન્યા હતા. આ સાથે જ, રેંગણ ગામ તથા ભાદરવા ગામથી યાત્રિકોના આવાગમન માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની 10 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાર્કિંગ માટે રામપુરા, તિલકવાડા અને સામરિયા ખાતે વિશાળ પાર્કિંગ સ્થળો તૈયાર કરાયા હતા, તેમજ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને; તે માટે એસડીઆરએફની 6 ટીમો પણ હાજર હતી.એક જ સ્થાને પરિક્રમાર્થીઓની વધારે ભીડ ન થાય, તે માટે યાત્રિકો માટે તિલકવાડાથી રેંગણ વચ્ચે 5 અને રામપુરાથી શહેરાવ વચ્ચે 3 હોલ્ડિંગ બનાવવામાં આવ્યા હતા. જેમાં પીવાના પાણી, મંડપ, શૌચાલય, લાઇટ, પંખા, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ (પીએએસ), માહિતી કેન્દ્રો તથા અન્ય સુવિધાઓ હતી. સૌથી પણ વધારે સફાઈ કામદારો દ્વારા દિવસ-રાત પરિક્રમા માર્ગની સાફ-સફાઈ કરવામાં આવતી હતી. તમામ સ્થળે પૂરતા શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવી હતી.નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ પરિક્રમા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. ક્રાઉડ મેનેજમેન્ટ માટે સ્પેશિયલ બનાવવામાં આવેલા વોટ્સએપ ગ્રુપમાં યાત્રિકોની ભીડ પર સતત નજર રાખી, જેના કારણે સરળ ક્રાઉડ મેનેજમેન્ટ શક્ય બન્યું હતું. પરિક્રમા દરમિયાન પરિક્રમાર્થીઓની આરોગ્ય સુવિધાઓ માટે કુલ 32 ટીમોમાં 8 મેડિકલ વાન કાર્યરત હતી. ચારેય ઘાટ પર 11 જેટલા સ્વ-સહાય જૂથોના સ્ટોલ દ્વારા પરિક્રમાવાસીઓને ખાણી-પીણીની ચીજ-વસ્તુઓનું વિતરણ કરવામાં આવતું હતું. ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ પણ નર્મદા પરિક્રમા કરી તમામ સુવિધાઓની સમીક્ષા કરી હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

અરબી સમુદ્રમાં તોળાતું વાવાઝોડું : ગુજરાતમાં 22મેથી ભારે વરસાદની ચેતવણી

આંદામાન નિકોબાર ટાપુ ,બંગાળની ખાડીમાં 8- 9 દિવસ વહેલું પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ વહેલાની સાથે વેગીલું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?