ભાવનગર-સુરત
23 એપ્રિલ મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે. સુરતમાં મૃતક યુવક શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરમાં મૃતક પિતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને પુત્ર સ્મિત યતીશભાઈ પરમારના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. તે પહેલાં તેમની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. આ દુ:ખની ઘડીમાં પાટીલ-CMએ પણ પરિવારને સાંત્વના આપી હતી.
સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની પત્નીએ સી.આર.પાટીલ સમક્ષ વિલાપ કરતા સરકાર અને સિક્યુરિટી સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા.
મુસ્લિમોને કંઇ ન કર્યુ ને જેટલા હિન્દુ હતા એ બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો. કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીરમાં કંઇ વાંધો નથી, વાંધો આપણી સરકાર અને સિક્યુરિટીમાં છે. આટલા ટુરિસ્ટ હતા પણ કોઇ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોશો રાખીને ફરવા ગયા હતા એ જ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો. આપણા દેશની જ આર્મી આવું કહેશે તો બીજુ કોણ બોલશે.
શૈલેષ કળથિયાના પુત્ર નક્ષે હુમલો થયો ત્યારની સ્થિતિનું વર્ણન કરતા કહ્યું કે કાશ્મીર તો ખૂબ સારું છે. પહેલગામમાં ઘોડા ઉપર જવાનું હોય છે અમે લોકો ત્યાં ઘોડા ઉપર સવાર હતા અને જઈ રહ્યા હતા. દસ મિનિટ બાદ આતંકવાદીઓ આવી ગયા અમે બધા સંતાઈ ગયા હતા. આતંકવાદીઓએ અમને શોધી લીધા અમે બે આતંકવાદીઓને જોયા હતા તેમને કહ્યું કે જે હિન્દુ છે કે અલગ થઈ જાવ જે મુસ્લિમ છે તે અલગ થઈ જાવ. ત્યારબાદ તેમણે કલમા બોલાવ્યા હતા. જેની ઓળખ મુસ્લિમ તરીકે થઈ તેમને છોડી દીધા અને જે હિન્દુ હતા તેમને ગોળી મારવાનું શરૂ કરી દીધું હતું. પછી એ લોકો ત્યાંથી જતા રહ્યા. અમને બધાને ભાગી જવા માટે કહેવામાં આવ્યું. મને ઘોડા ઉપર બેસાડી દીધો હતો અને મારી બહેન અને મમ્મી નીચે ચાલતા ચાલતા આવ્યા. એક સમયે તેવું લાગ્યું કે હવે અમારું મોત નિશ્ચિત છે. મારી મમ્મી મારા પપ્પાને છોડતી ન હતી પણ અમારા કારણે તેમણે અમારી સાથે આવવું પડ્યું. ઘટના થઈ તે સમય અમે 20 – 30 લોકો હતા. આટલી મોટી ઘટના બની આર્મીને કંઈ ખબર જ ન હતી. નીચે આખો આર્મીનો બેઝ હતો.
પહેલગામ હુમલામાં મૃતક પિતા-પુત્રના મૃતદેહને ઘરે લાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેમને પરિવારના દુ:ખમાં સહભાગી થઈ રવાના થયા હતા.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે(22 એપ્રિલે) થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં ત્રણ ગુજરાતીઓના પણ મોત થયા હતા. ભાવનગરથી જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયેલા યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનું મોત નિપજ્યું હતું. જ્યારે મૂળ સુરતના અને હાલ મુંબઈમાં રહેતા શૈલેષ કળથિયાનું પણ મોત નિપજ્યું હતું. જેમના મૃતદેહને મોડી રાત્રે માદરે વતન લાવ્યાં છે. સર્ટી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ રૂમમાં પિતા -પુત્રના મૃતદેહ રખવામાં આવ્યા છે. સર્ટી હોસ્પિટલ ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.