અમદાવાદ
અમદાવાદમાં રસ્તાઓ પર માણસો કરતા વાહનો વધુ જોવા મળે છે. અહી ટ્રાફિકની સમસ્યા બદતર બની રહી છે. લોકોને ચાલવા માટે પણ જગ્યા નથી મળતી. ત્યારે રાહદારીઓ માટે એક મોટો નિર્ણય લેવાયો છે. ભારે ટ્રાફિકના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે હવે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)અને નેશનલ હાઈવે ઓથોરિટીએ 5 ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે.અમદાવાદમાં હાલ તમામ રોડ ઉપર વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યારે અમદાવાદના એસજી હાઇ-વે કે જે સિક્સ લાઈન બનાવવામાં આવ્યો છે. ત્યાં રોડ ક્રોસ કરવા માટે શહેરીજનોને ખૂબ જ હાલાકી નો સામનો કરવો પડે છે. જેને લઇ એએમસી દ્વારા હવે એસ જી હાઇ-વે ઉપર જુદી જુદી જગ્યાએ 5 જેટલા ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આ ફૂટઓવર બ્રિજ પીપીપી ધોરણે બનાવવામાં આવશે. SG હાઈ-વે ઉપર આવેલા નિરમા યુનિવર્સિટી, રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ સહિત અન્ય જગ્યાએ ફૂટઓવર બ્રિજ બનાવવામાં આવશે. જેને લઇ શહેરીજનો સહેલાઈથી રોડ ક્રોસ કરી શકે અમદાવાદમાં અગાઉ બે જગ્યાએ ફુટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે. જેમાં શાહીબાગ સ્વામિનારાયણ મંદિર પાસે તેમજ એરપોર્ટ કેમ્પ હનુમાન પાસે આ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે.
