સોમનાથ ખાતે હિરણ, કપિલા અને સરસ્વતીના સંગમ સ્થળ ત્રિવેણી સંગમ ઘાટ પર પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ સંગમ આરતી કરી હતી. અને સાથે રૂ.21 લાખના ખર્ચે આરતીની સુવિધાનું લોકાર્પણ કર્યુ હતું. પ્રવાસન મંત્રીએ બ્રહ્મપુરોહિતોના મંત્રોચ્ચાર વચ્ચે હિરણ-કપિલા અને સરસ્વતી નદીના સંગમસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરી હતી. પૂજા-અર્ચના સંપન્ન કર્યા બાદ મંત્રીશ્રીએ સંગમ સંધ્યા આરતીમાં ભાગ લીધો હતો, અને દિવ્ય આરતીનાં દર્શનનો લાભ લીધો હતો.ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ માર્ગ-મકાન વિદ્યુત વિભાગના સહયોગથી ત્રિવેણી સંગમ પર રૂ.21 લાખના ખર્ચે સાઉન્ડ સિસ્ટમ અને લાઈટિંગ સુવિધાના કારણે આરતીની સુવિધામાં ઉમેરો થયો છે. સાઉન્ડ સિસ્ટમની સુવિધાના કારણે યાત્રિકો દૂર સુધી આરતી-શ્લોકનો ધ્વની સાંભળી શકશે.આ આરતીમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવી બહેન જાની, કલેકટર એન.વી.ઉપાધ્યાય, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, અગ્રણી સંજયભાઈ પરમાર, સોમપુરા બ્રહ્મસમાજ પ્રમુખ હેમલ ભટ્ટ સહિતના બ્રહ્મપુરોહિતો કર્મચારીઓ તથા મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયાં હતાં.
31

