ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે (30મી જૂન) સવારથી જ અમદાવાદના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (30મી જૂન) બપોરે એક વાગ્યા સુધીમાં આઠ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમા સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમા ભાવનગર,રાજકોટ,અમરેલી અને બોટાદનો સમાવેશ થાય છે. આ સાથે નવસારી, વલસાડ, સુરત અને તાપીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
![](https://chanchal.co/wp-content/uploads/2024/06/content_image_641ca7c4-f7c8-4758-bfcc-d16f59e9c739-660x330.jpeg)