કચ્‍છના ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજય/જિલ્‍લા બહારના ડ્રાયવરો-કલીનરોની નોંધણી કરાવ્‍યા સિવાય કામે રાખી શકશે નહીં

by JAYENDRA UPADHYAY
0 comments

જિલ્‍લામાં લૂંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે અને રાજય અને જિલ્‍લા બહારથી આવતા અસામાજિક તત્‍વો ઉપર પૂરતી વોચ રહે તેમજ પોલીસ તપાસ માટે વિગતો ઉપલબ્‍ધ બને તે માટે કચ્‍છ જિલ્‍લામાં કાર્યરત તમામ ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરોને પોતાના વાહનો પરના ડ્રાયવરો/કલીનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામા સહિતની જરૂરી વિગતો સંબંધિત પોલિસ સ્‍ટેશનમાં આપવા જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી અમિત અરોરા દ્વારા જાહેરનામામાં જણાવાયું છે અને આ જાહેરનામું તા.૦૯/૦૧/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.
કચ્‍છ જિલ્‍લામાં ભૂકંપ બાદ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો શરૂ થયા છે. ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજય બહારથી કે જિલ્‍લા બહારથી મોટા ભાગે ડ્રાયવરો અને કલીનરોને કામે રાખતા હોય છે. પરિણામે જિલ્‍લામાં રાજય બહારના લોકોની આવન-જાવનનું પ્રમાણ વધ્‍યું છે અને રાષ્‍ટ્રવિરોધી પ્રવૃતિઓમાં જિલ્‍લા બહારના લોકોની સંડોવણી માલુમ પડી છે.
જાહેરનામા મુજબ દરેક ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરોએ કામે રાખેલ રાજય બહારના ડ્રાયવરો/કલીનરોની વિગત સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં ડીટેઇલ બાયોડેટા સહિત નોંધણી કરાવી લેવાની રહેશે. ત્‍યારબાદ વણ નોંધાયેલ ડ્રાયવર્સ/કલીનર્સ કામગીરી કરી શકશે નહીં. આ હુકમમાં વધુમાં જણાવ્‍યા અનુસાર કામે રાખેલા રાજય બહારના ડ્રાયવર્સ/કલીનર્સ પૈકી કોઇ છૂટા થાય તો તેની વિગત તથા નવા ઉમેરાયેલા નામોની યાદી દર માસે જે-તે વિસ્‍તારના નજીકના પોલીસ સ્‍ટેશનને પુરી પાડવાની રહેશે કોઇપણ ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજય બહારના ડ્રાયવરો/કલીનરોની નોંધણી કરાવ્‍યા સિવાય કામે રાખી શકશે નહીં.
આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબની શિક્ષાને પાત્ર થશે તેમ જાહેરનામા દ્વારા જણાવાયું છે.

You may also like

Leave a Comment