ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત
20 સપ્ટેમ્બરે રોડ શો અને જાહેર સભા યોજાશે
ભાવનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી 20મી સપ્ટેમ્બરે ગુજરાતના ભાવનગર જિલ્લાના પ્રવાસે આવશે. તેઓ ભાવનગરના જવાહર મેદાન ખાતે જાહેર સભાને સંબોધિત કરશે.
આ પ્રસંગે અનેક વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ પોર્ટ અને શિપિંગ સંબંધિત નીતિ અંગે મહત્વપૂર્ણ જાહેરાતો તથા કેટલાંક એમઓયુ પર હસ્તાક્ષર થવાના છે.
વડા પ્રધાનના રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલની અધ્યક્ષતામાં અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ભારત સરકારના શિપિંગ મંત્રાલય, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાનની મુલાકાતને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

