અમદાવાદ શહેરમાં ચકચાર મચાવનાર સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાનીની હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે સઘન તપાસ બાદ ગંભીર ખુલાસા કર્યા છે. પોલીસ તપાસમાં શાળા પ્રશાસનની બેદરકારી સ્પષ્ટપણે સામે આવી છે, જેના આધારે શાળાના આચાર્ય જી. ઇમેન્યુઅલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત પટેલે આ સમગ્ર કેસની વિગતો જાહેર કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ શાળા પરિસરની બહાર મેલડી માતાના મંદિર પાસે બની હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી નયન લોહીલુહાણ હાલતમાં શાળામાં પ્રવેશ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે તાત્કાલિક શાળા સંચાલકને જાણ કરી હતી. જોકે, પોલીસને આ ઘટનાની જાણ 12:50 વાગ્યે, એટલે કે ઘટનાના 50 મિનિટ બાદ કરવામાં આવી. આટલો મોટો વિલંબ શંકાસ્પદ માનવામાં આવે છે અને શાળા પ્રશાસનની બેદરકારીને ઉજાગર કરે છે.ક્રાઇમ બ્રાન્ચના ACP પટેલે જણાવ્યું કે, હત્યા કર્યા બાદ સગીર આરોપી ઘરે ગયો, જમ્યો અને ત્યારબાદ ટ્યુશન માટે પણ નીકળી ગયો, જે તેનામાં ભયનો અભાવ દર્શાવે છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું કારણ વિદ્યાર્થીઓ વચ્ચેનો સામાન્ય ઝઘડો હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ હત્યા માટે ઉપયોગમાં લીધેલું હથિયાર પોલીસે કબજે કરી લીધું છે, અને શાળાના CCTV ફૂટેજ પણ તપાસ માટે મેળવવામાં આવ્યા છે. નયનનું મૃત્યુ પેટના ડાબા ભાગે ઊંડી ઇજા અને વધુ પડતા આંતરિક રક્તસ્ત્રાવને કારણે થયું હતું.પોલીસ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આચાર્ય સહિત શાળાના સ્ટાફ, મૃતકના મિત્રો અને તેના માતા-પિતા સહિત કુલ 15 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. સગીર આરોપીના પરિવારનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, અને તેના પિતા વેપાર સાથે સંકળાયેલા છે. સગીર આરોપીને જુવેનાઇલ એક્ટ હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ શાળાઓમાં બાળકોની સલામતી અને સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
47

